જામનગરમાં રોજ ડોગબાઇટનો શિકાર થઇ રહ્યા છે સરેરાશ ૩પ લોકો

  • January 31, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકા દ્વારા ખસીકરણની ચલાવવામાં આવેલી ઝુંબેશ નિષ્ફળ દેખાઇ રહી છે, પંચવટી ગૌશાળા, ટાઉનહોલ, હવાઇચોક, સેતાવાડ, ગાંધીનગર, જુના રેલ્વે સ્ટેશન, ગેલેકસી ટોકીઝ વિસ્તાર, એસ.પી. બંગલા રોડ પર મોટી સંખ્યામાં શ્ર્વાનોના ઢગલા જોવા મળે છે: ટુ વ્હીલર વાહનચાલકો રહે છે હંમેશા ભયના ઓથાર તળે

જામનગર માટે રખડતા કૂતરાઓનો ત્રાસ નાસુર જેવો બની ગયો છે કારણ કે અનેક ફરિયાદો છતાં મહાનગરપાલિકાનું રેઢીયાળ અને લબાડ જેવું તંત્ર પ્રજાને પાયાની આ સમસ્યાથી બચાવી શકવામાં નિષ્ફળ ગયું છે, માત્ર ખસીકરણની જ જાહેરાતો કરીને સબ સલામતી માનતા સત્તાધીશો સરકારી જી.જી. હોસ્પિટલના ડોગ બાઇટના આંકડા રોજબરોજ મેળવે તો એમને એ વાતની ભાન થશે કે, શહેરની પ્રજા પર ડોગ બાઇટનો ભય એક તલ્વારની જેમ ઢોળાઇ રહ્યો છે, લોકોમાં વ્યાપક રોષ છે અને તંત્ર આ સમસ્યા દૂર કરે એવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.
ગઇકાલે જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. તિવારી સાથે આજકાલની વાતચીત થઇ હતી અને ડોગ બાઇટના કિસ્સામાં હજુ પણ ચિંતાજનક વધારો છે, એવી વાત કરવામાં આવતા એમને કહ્યું હતું કે, હાલ એવરેજ દરરોજ ૩૦ થી ૩પ જેટલા ડોગ બાઇટના કેસ આવી રહ્યા છે, શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લોકો સારવાર મેળવવા આવે છે, આ તો માત્ર જી.જી. હોસ્પિટલના આંકડાની વાત છે, આ સિવાય ખાનગી ધોરણે જે લોકો સારવાર મેળવી લેતા હશે, તેનો અહીં સમાવેશ કરી શકાયો નથી, કારણ કે એ આંકડા ઉપલબ્ધ નથી.
માત્ર જી.જી. હોસ્પિટલને આંકડાને પકડીને ચાલીએ તો દરરોજ સરેરાશ ૩૦ થી ૩પ લોકો ડોગ બાઇટનો શિકાર બની રહ્યાની વાત નાની સૂની નથી, ખુબ ગંભીર છે, અને આ સમસ્યા વકરીને ક્યાં પહોંચી તેનો પુરાવો આપે છે.
પંચવટી ગૌશાળા, ટાઉનહોલ, હવાઇચોક, સેતાવાડ, ગાંધીનગર, જુના રેલ્વે સ્ટેશન, ગેલેકસી ટોકીઝ વિસ્તાર, એસ.પી. બંગલા રોડ સહિતના શહેરના ચારે તરફના લગભગ તમામ વિસ્તાર અને ગલીઓમાં કૂતરાના ઢગલે ઢગલા જોવા મળે છે, રાત્રિનો સમય એટલે જાણે કૂતરાઓના શિકાર ટાઇમ હોય તેમ માર્ગ પર બેઠા હોય છે, લગભગ મોટાભાગની ફોર વ્હીલર  પાછળ કૂતરા દોડે છે, તેમાં તો લોકો સુરક્ષિત રહી શકે છે, પરંતુ જ્યારે ટુ વ્હીલર વાહનચાલકો રાત્રિના સમયે પસાર થાય છે ત્યારે સામે જોવા મળતા કૂતરાના ઢગલે ઢગલાના કારણે એવા વાહનચાલકોના ટાટીયા ધ્રુજી જાય છે.
રોજબરોજ કૂતરા દોડવાના કારણે અકસ્માતના કિસ્સાઓ પણ નોંધાઇ રહ્યા છે, તાજેતરમાં એક પોલીસમેનનો પણ કૂતરાના કારણે અકસ્માત થવાથી મૃત્યુ નિપજ્યું હતું, આ પહેલા પણ બાળકો, વૃઘ્ધો, યુવાનો અને યુવતિઓને કૂતરાઓના કારણે અકસ્માત નડ્યાના સેંકડો દાખલા મોજુદ છે.
મહાનગરપાલિકાના જવાબદારો સમક્ષ જ્યારે પણ આ પ્રશ્ર્ન સંબંધે પૂછવામાં આવે છે ત્યારે એક જ જવાબ મળે છે કે, ખસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
પરંતુ જે રીતે ડોગબાઇટના કિસ્સાઓમાં કોઇ રીતે ઘટાડો જોવા મળતો નથી, તેનાથી એ વાત સ્પષ્ટ થઇ છે કે, કોર્પોરેશનની ખસીકરણ કરવાની યોજના હાલની તકે લોકોને આ સમસ્યાથી બચાવી શકે તેમ નથી, માટે અગાઉ કહ્યા મુજબ મહાનગરપાલિકાએ હિંમતપૂર્વક આગળ વધીને કૂતરાઓને પકડવાની ઝુંબેશ લોકોના હિત ખાતર શરુ કરવી પડશે.
તમામ કાનૂની અડચણો દૂર કરીને પણ આ ઝુંબેશ શરુ કરી શકાય એમ છે, બીજું કે અગાઉ કહેવામાં આવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાના તંત્રએ તમામ વિસ્તારોમાંથી કૂતરાઓને પકડીને જંગલમાં છોડવાનું શરુ કરી દીધુ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાએ કમસેકમ તેનું અનુકરણ કરીને પણ લોકોને આ ત્રાસમાંથી છોડાવવા જોઇએ એવી વ્યાપક લાગણી અને માંગણી લોકોમાં ઉઠતી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application