કારીગરીથી મોબાઈલ તફડાવી જનાર અમરેલીનો ભેજાબાજ ચીટર ઝડપાયો

  • April 28, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારીગરીથી મોબાઇલ ફોનની ચોરી કરી જનાર અમરેલીના ભેજાબાજ શખસને રાજકોટ એલસીબી ઝોન-૨ ની ટીમે ગાંધીગ્રામ એસ.કે ચોક પાસેથી ઝડપી લીધો હતો. આ શખસે રાજકોટ સહિત આ રીતે પાંચ સ્થળોએ મોબાઈલ ફોનની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-૨ ના એએસઆઈ જે.વી. ગોહિલ તથા ટીમ તપાસમાં હતી દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે. ચોક પાસે એક શખસ શંકાસ્પદ થેલા સાથે ઉભો હોય અને તેની પાસે છેતરપિંડીથી મેળવેલા મોબાઇલ હોવાની બામતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી અમરેલીના લીલીયા રોડ પર હરી વ્યાસ સોસાયટીમાં રહેતા જય મનસુખભાઈ દુધાત (ઉ.વ ૩૮) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ એરપોર્ડ તથા લેપટોપ બેગ સહિત રૂ.39,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, આ ભેજાબાજ શખસ ઓનલાઇન પ્રોડક્ટ સર્ચ કરી મોબાઈલ નંબર મેળવી તેને ડમી મોબાઈલ નંબરમાંથી ફોન કરી મળવા જતો હતો બાદમાં પોતાના મિત્રને પ્રોડક્ટ લેવાની હોવાનું જણાવી પોતાનો ફોન બંધ થઈ ગયેલ છે તેમ કહી જે તે વ્યક્તિ પાસેથી વાત કરવા માટે ફોન લઈ આ ફોન છેતરપિંડીથી લઈ જતો હતો. આ ઉપરાંત સોમનાથ મંદિર ખાતે લઈ જઈ લોકરમાં સામાન મુકાવી આ સામાન લઈ નાસી જતો હતો.


પોલીસની પૂછપરછમાં આ શખસે પાંચ ગુનાની કબુલાત આપી હતી. જેમાં ત્રણેક મહિના પહેલા અમદાવાદમાં નરોડા ગામે અનિલભાઈ નામના વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોવાનું કહી તેનો મોબાઈલ લઈ ગાડી પાર્ક કરવા જતા મોબાઇલ લઈને નાસી ગયો હતો. બે મહિના પૂર્વે ઓનલાઇન નંબર લઈ જૂનાગઢના નૌસાદ નામના વ્યક્તિને સોમનાથ પ્રોડક્ટ બતાવવાની હોવાનું જણાવી મંદિરે લઈ જઈ અહીં લોકરમાં સામાન મુકાવી ચાવી પોતાની પાસે રાખી બાદમાં આ સામાન લઈ નાસી ગયો હતો. દોઢ એક મહિના પૂર્વે મોરબીથી રિક્ષામાં બેસી ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટલ પાસે ઊતરી મોબાઈલ બંધ થઈ ગયો છે તેમ કહી રિક્ષાચાલકનો મોબાઈલ ચોરી લીધો હતો. દસેક દિવસ પહેલા જૂનાગઢના ધવલ નામના માણસને મળી સોમનાથ પ્રોડક્ટ બતાવવાની હોવાનું જણાવી અહીં લોકરમાં સામાન મુકાવી મોબાઈલ તથા સ્માર્ટ વોચ ચોરી લીધી હતી. છ મહિના પૂર્વે અમદાવાદમાં આશ્રમ રોડ પર કરણ નામના વ્યક્તિ પાસેથી આ પ્રકારે આઇફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી.


સોમનાથ મંદિરે લોકરમાં સામાન મુકાવી મોબાઈલ ચોરી કરી જતો

પોલીસે જણાવ્યું હતું કે, આ ભેજાબાજ શખસ ઓનલાઈન પ્રોડક્ટ તેમાંથી મોબાઈલ નંબર મેળવી જે તે વ્યક્તિને સોમનાથ પ્રોડક્ટ બતાવવાની હોવાનું કહી અહીં બોલાવી મંદિરે દર્શન કરવા લઈ જતો હતો.અહીં સામાન લોકરમાં મુકાવતો હતો અને તેની ચાવી પોતાની પાસે હોય બાદમાં પોતે અહીં આવી લોકરમાંથી આ સામાન લઈ નાસી જતો હતો. બાદમાં અવધ મોબાઈલ સુરતનું બિલ બનાવી પ્રિન્ટ કાઢી સ્ટેમ્પ બનાવેલ હોય જેમાં સહી કરી આ મોબાઈલ વેચી નાખતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application