વૃધ્ધનો ભોગ લીધો છતા ઋઈંછમાં આરોપીનુ નામ નહીં!

  • October 10, 2024 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવતા શખ્શોને હવે પોલીસનો પણ ડર રહ્યો ન  હોય તેમ મુખ્ય રસ્તાઓ તો ઠીક શેરી ગલીઓમાં પણ બેફિકરાઇથી વાહન ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે ધુમ સ્પીડે બુલેટ બાઇક ચલાવતા અજાણ્યા શખ્શે વૃધ્ધને ઠોકર મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. આ બનાવમાં બાઇકચાલક સગીર હોવાની શકયતાઓના આધારે યુવાનોએ પોલીસને જાણ કરી હતી પરંતુ એફ.આઇ.આર.મા બુલેટ બાઇકના  ચાલક સામે ગુન્હો નોંધાયો છે પણ તેના નામનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નહી હોવાથી અનેકવિધ ચર્ચાઓ જાગી છે.કારણકે સી.સી.ટી.વી. ફૂટેજમાં સ્પષ્ટપણે અકસ્માત સર્જનારનો ચહેરો દેખાઇ રહ્યો છે એટલું જ નહી પરંતુ યુવાનોના જણાવ્યા પ્રમાણે તેઓએ બાઇકચાલક પોલીસને સોંપી દીધો હતો. ડબલ સવારીમાં તેઓ હતા તેવુ પણ જણાવાયુ છે.



પોરબંદરના રાણીબાગ પાછળ હીરાપન્ના કોમ્પલેક્ષવાળી ગલીમાં રહેતા છગનલાલ પરસોતમભાઇ ગોહેલ ઉ.વ. ૭૫ સાંજના સમયે તેમના ઘર પાસે જ  ગલીની બહાર નીકળ્યા ત્યારે બુલેટ બાઇક નંબર જી.જે. ૨૫ એ.ઇ. ૮૦૦૫ના ચાલકે બેફિકરાઇથી બાઇક ચલાવીને છગનલાલને ઠોકર મારી દીધી હતી અને તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. 



આથી ફરિયાદી અનિલભાઇ ગોહેલના માતા સવિતાબહેને પુત્રને ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી આથી અનીલ તાત્કાલિક ત્યાં પહોંચ્યો ત્યારે તેને ઓટોરીક્ષામાં હોસ્પિટલે લઇ જવા માટે ચડાવ્યા હતા અને બેભાન જેવા હતા અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પહોચાડયા ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા તેથી ઉપરોકત નંબરવાળા બાઇકચાલકે પૂરઝડપે બાઇક ચલાવીને અકસ્માત  સર્જી પિતાનુ મોત નિપજાવ્યાનો ગુન્હો અનિલભાઇ ગોહેલે નોંધાવ્યો છે.



જાણકાર વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે આ મોટરસાઇકલ સગીરવયનો છોકરો ચલાવતો હોવાનુ અને એની પાછળ પણ એક ઇસમ બેઠો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે પરંતુ પોલીસે હાલ પૂરતુ એવુ જણાવ્યુ છે કે સી.સી.ટી.વી. ફૂટેજ સહિત અલગ અલગ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. એફ.આઇ.આર.માં  પણ કોઇનુ વ્યક્તિગત નામ બાઇકચાલક તરીકેનુ નહી હોવાથી તે અંગે પણ ચર્ચાઓ જાગી છે. 


યુવાનોએ જણાવ્યુ હતુ કે સી.સી.ટી.વી. ફૂટેજમાં અકસ્માત સર્જનારનો ચહેરો દેખાઇ રહ્યો છે તેમ છતા વ્યક્તિગત રીતે તેની સામે નામજોગ ગુન્હો નોંધવાના બદલે ‘બુલેટ બાઇકનો ચાલક’ તેવુ એફ.આઇ.આર.માં શા માટે દર્શાવાયુ છે?  તેવા સવાલ ઉઠાવાયા હતા અને તે અંગે હિન્દુ સંગઠનો દ્વારા પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત થવાની હોવાનું જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application