એસ્ટેટ શાખા તેમજ ટ્રાફિક વિભાગ દ્વારા તળાવની પાળે તમામ પ્રકારના દબાણો હટાવાયા

  • May 27, 2024 11:12 AM 

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ ટ્રાફિક શાખાની ટુકડીએ ગઈકાલે રવિવારે રજાના દિવસે લાખોટા તળાવની ફરતે દબાણે હટાવ ઝુંબેશ હાથ ધરી સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો અને જાહેર માર્ગ પર રેંકડી- કેબિન -પથારા સહિતના અનેક દબાણો હટાવાયા હતા, જ્યારે કેટલીક સામગ્રી કબજે પણ કરી લેવામાં આવી હતી જેથી ભારે નાશ ભાગ થઈ હતી.


જામનગરમાં તળાવની પાળ જૂની આર.ટી.ઓ. કચેરીની આસપાસના વિસ્તારમાં બાળકોની અનેક રાઈડ ચાલુ કરી દેવાઇ હતી, જેની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાથી તમામ રાઈડ બંધ કરાવીને જુની આરટીઓ કચેરી પાસેનો રસ્તો ખુલ્લો કરાવાયો હતો.


આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, ઓફિસર નીતિન દીક્ષિત તેમજ સુનિલભાઈ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સહિતની ટીમ દ્વારા સમગ્ર એસ્ટેટ શાખાની ટુકડીને સાથે રાખીને લાખોટા તળાવની ફરતે દબાણ હટાવવાનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જામનગર શહેરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.બી. ગજજર, પી.એસ.આઇ. આર.ડી ગોહિલ તથા અન્ય ટ્રાફિક વિભાગનો સ્ટાફ જોડાયો હતો અને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર લાખોટા તળાવની ફરતે અનેક રેકડી, કેબીનો, પથારા વગેરેને દૂર કરાવવામાં આવ્યા હતા અને તળાવની પાળ ખુલ્લી કરાવાઈ હતી. આ કાર્યવાહીને લઈને દબાણ કરનાર ધંધાર્થીઓમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.


મહાનગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા પર ખડકી દેવાયેલા ટેબલ-ખુરશી સહિતનો કેટલાક માલ સામાન પણ જપ્ત કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો હતો. આ કાર્યવાહીને લઈને ગઈકાલે રવિવારે લાખોટા તળાવની ફરતેનો સમગ્ર વિસ્તાર સાફ સુથરો અને ખુલ્લો જોવા મળ્યો હતો, જેથી વાહનચાલકો- રાહદારીઓ વગેરેને રાહત થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application