રૂ.૬૪.૮૦ કરોડની છેતરપિંડીમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ અઢી-અઢી ટકાના ભાગીદાર

  • April 09, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળદરની ખેતીમાં ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારી સાથે મહારાષ્ટ્રની કંપનીના સંચાલકોએ રૂા.64.80 કરોડ ઓળવી ગયાની અને એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કર્યાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી ચાર શખસોને ઝડપી લીધા છે.જેના નવ દિવસના રિમાન્ડ મંજુર થાય છે. આ મામલે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,હાલમાં ઝડપાયેલા આરોપીઓ કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદાર હતાં.જયારે જેલમાં રહેલો મુખ્ય સૂત્રાધાર પ્રશાંત ઝાડે ૫૫ ટકા ભાગીદાર છે.


બનાવ અંગે ૧૫૦ ફૂટ રીંગરોડ પર બિગબજાર પાછળ જગન્નાથ પ્લોટ શેરી નં. ૨માં રહેતા પ્રશાંતભાઈ પ્રદીપભાઈ કાનાબાર (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જૂન-જૂલાઇ 2021 માં તે હિંમતનગર કંપનીના કામથી ગયો હતો ત્યારે ચંદ્રકાંતભાઈ પટેલ સાથે પરિચય થયો હતો. જેણે તેને હળદરની ખેતીનો પ્રોજેક્ટ સમજાવ્યો હતો. જેમાં મુંબઇની એ.એસ. એગ્રી એન્ડ એક્વા એલએલપી સારું વળતર આપે છે તેમ કહ્યું હતું. જેમાં કંપનીને છ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબ જમીન આપવાની હતી. તે જ જમીનમાં વીજળી, પાણી તેમણે જ પૂરા પાડી હળદરની ખેતીના પોલી હાઉસ ઉભા કરવાના હતાં. જેમાં એક એકરે અંદાજે રૂા. બે કરોડનો ખર્ચ થવાનો હતો. તેમાંથી રૂા.1.20 કરોડ તેમને આપવાના હતા. જ્યારે રૂા. 80 લાખનું રોકાણ કંપનીએ કરવાનું હતું. કંપની પોલી હાઉસ ઉભું કરી હળદરની ખેતી કરવા માટેના બિયારણના વાવેતર કરવાથી તેના વેચાણ સુધીની તમામ જવાદારી સંભાળવાની હતી.


બાદમાં ૧૬ મહિના પછીથી કંપની તેમને દર એકરે રૂા.1.20 કરોડના રોકાણની સામે દર વર્ષે રૂા.1.20 કરોડ છ વર્ષ સુધી પરત આપવાની હતી. આ રીતનો પ્રોજેક્ટ અવિનાશે તેમને સમજાવી યુ-ટયુબમાં વીડિયો પણ બતાવ્યા હતાં. જેમાં જુલાઇ-2021થી સપ્ટેમ્બર-2021 સુધીમાં રૂા. 64.80 કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્યા હતાં.


જે બાદ તેમણે રોકેલા રૂા. 64.80 કરોડ પરત નહીં આપી ઓળવી ગયા હતાં. સાથોસાથ કંપનીએ ત્રણ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબનાં 1 અબજ 94 લાખ પણ આજ સુધી ચૂકવ્યા નથી. તેણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કંપનીના ડીરેક્ટરોએ આજ રીતે વડોદરા, અમરેલી, મહારાષ્ટ્રના થાણે અને પૂનામાં પણ ફ્રોડ કર્યાં છે. જે અંગે તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ છે. જેમાંથી કંપનીના પાર્ટનરો સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદીપ સામંત હાલ જેલમાં છે.

બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઈ એમ.એલ.ડામોર અને ટીમે તપાસ આદરી મહારાષ્ટ્રથી હર્ષલ મહાદેવરાઓ ઓઝે, વૈભવ વિલાસ કોટલાપૂરે, પ્રવીણ વામન પથારે અને હીરેન દીલીપભાઈ પટેલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે મામલે ડીસીપીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સો છેતરપીંડી કરનાર કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદાર છે અને જેલમાં બંધ પ્રશાંત જાડે એકલો ૫૫ ટકાનો ભાગીદાર છે. તેમજ કોઈ અન્ય એગ્રીકલ્ચર પેઢી કે ખેડૂતો જો આવી છેતરપીંડીનો ભોગ બન્યા હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application