વાંકીયા ગામમાં પતિ સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી મોત મીઠું કર્યું

  • December 27, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી પરપ્રાંતિય યુવતીએ ઘરકામ બાબતે પતિએ ઠપકો આપતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
મૂળ મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લાની વતની અને હાલ ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં ખેત મજૂરી કામ કરતી હીરાબેન સંજયભાઈ બગેલ નામની ૨૮ વર્ષની પરપ્રાંતિય યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી રાધાબેન ઢેલુભાઈ ભીલાળએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે. તેણીના પતિ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
***
જામજોધપુરના સમાણામાં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કેરોસીન પીધું: સારવારમાં ખસેડાઈ: પતિ સહિત છ સામે રાવ

જામજોધપુરના સમાણા ગામમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ કેરોસીન પી લેતાં સારવારમાં ખસેડવામાં આવી છે. ઓશીકા નીચે મૂકેલો મોબાઈલ ક્યાં છે? તે બાબતે દુ:ખ-ત્રાસ આપતાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતી મીનાબેન દાનાભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) નામની યુવતિએ શેઠવડાળા પોલીસમાં સમાણામાં રહેતાં લલિત મુળજી ચાવડા, દમકીબેન મુળજી ચાવડા, મનિષ મુળજી ચાવડા, શારદાબેન મનિષ ચાવડા, બાબુ મુળજી ચાવડા, રેખાબેન બાબુ ચાવડાની વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮ (એ), ૫૦૪, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મીનાબેનના દીકરી મોબાઈલમાં ઑનાઈન લેશન કરતી હતી અને લેશન પૂરુ થયાં બાદ ઓશીકા નીચે મોબાઈલ મૂકીને સૂઈ ગઈ હતી. બીજા દિવસે સવારના તેણીના પતિએ મોબાઈલ ક્યાં છે? તેમ કહેતાં ફરિયાદીએ ના પાડી હતી.
આ મામલે ફરિયાદીને પતિ, સાસુ તથા જેઠ-જેઠાણીએ દુ:ખ-ત્રાસ આપી, અપશબ્દો બોલી, એક-બીજાને મદદગારી કરી હતી. જેના કારણે ફરિયાદીએ પોતાની મેળે કેરોસીન પી લેતાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
***
ખંભાળિયાની યુવતીને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ

ખંભાળિયામાં જૂની તાલુકા પંચાયત કચેરી પાસે રહેતા મુકેશભાઈ શાંતિલાલ રાજાણીની ૨૯ વર્ષની પરિણીત પુત્રી પિનલ ઉર્ફે પ્રિયાબેન પ્રશાંત સીમરીયાને પોરબંદર ખાતે રહેતા તેણીના પતિ પ્રશાંત જીતેન્દ્રભાઈ સીમરીયા, સસરા જીતેન્દ્રભાઈ લીલાધરભાઈ, સાસુ જયશ્રીબેન તથા દિયર મયુર દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર નાની-નાની બાબતોએ બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કર્યાની તેમજ શંકા-કુશંકાઓ કરી, ત્રાસ ગુજારતા આ અંગે ખંભાળિયાના મહિલા પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગેની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application