રાજકોટમાં ABVPનો રસ્તા પર બેસી ચક્કાજામ, પોલીસે ટીંગોટોળી સાથે કાર્યકરોની અટકાયત કરી, ઝપાઝપી થઈ, જાણો શું કામ વિરોધ કર્યો?

  • February 13, 2025 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ ABVP દ્વારા SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. રાજકોટના કોટેચા ચોક ખાતે પણ એબીવીપીના કાર્યકરોએ રસ્તા પર બેસી રોડ ચક્કાજામ કર્યો હતો. જોકે, પોલીસે દોડી આવી 20 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. પોલીસ વેનમાં બેસાડતી વખતે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. 


શું કામ વિરોધ કરવામાં આવ્યો
ભારત સરકારની વર્ષ 2010થી લાગુ થયેલી આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ 2022થી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેના અનુસંધાને રાજ્યોને સમયાંતરે સૂચનાઓ પણ આવી છે. નવી સૂચનાઓ મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો હોવો જોઈએ, મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઇડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.


જાનગરમાં પણ પોલીસે ટીંગાટોળી કરી ABVPના કાર્યકરોની અટકાયત કરી
એસ.સી, એસ.ટી સ્કોલરશીપ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માગ સાથે જામનગરમાં ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. વહેલી સવારે જીજી હોસ્પિટલના ગેટ પાસે ABVPના 50થી વધુ કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. જેમાં પોસ્ટર સળગાવ્યા હતા. ABVPના કાર્યકરો રોડ પર બેસી રહેતા ટ્રાફિકજામ થયો હતો. પોલીસે ટીંગાટોળી કરી ABVPના કાર્યકરોની અટકાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application