જમીન લેતી-દેતી મામલે યુવાનની હત્યાં

  • January 22, 2024 05:37 PM 

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે સુરતથી જમીનની લેતી-દેતી માટે સુરતથી આવેલા પિતા અને તેના બે પુત્રો સાથે થયેલી માથાકૂટ બાદ મામલો બીચકતા વાળુકડ ગામના પિતા-પુત્રો સહિતના શખ્સોએ કરેલા હુમલામાં સુરતના યુવાનની હત્યા કરી નાસી છૂટ્યા હતા. જયારે હુમલામાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલાએ દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના પગલે જિલ્લાભરમાં ચકચાર મચી હતી. જયારે ઈજાગ્રસ્ત પિતાએ પોતાની સાથે રહેલી રૂપિયા ૧.૧૦કરોડ રોકડા તેમજ ઘરેણાં હુમલાખોરો લઈ ગયાનો આક્ષેપ પોલીસ સમક્ષ કર્યો હતો.



ઘટનાની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો સુરતથી ભાવનગરના વાળુકડ ગામે જમીનની લેતી-દેતી બાબતે ભાવનગર શહેર નજીક આવેલા વાળુકડ ગામ પાસે સીદસર રોડ પર આવેલી વાડીએ તુળશીભાઈ લાઠીયા અને તેના બે પુત્રોવિપુલ અને નિલેશ સાથે આવ્યા હતા. અને વાળુકડ ગામના લાભુભાઈની વાડીએ રાત્રે પહોંચ્યા હતા. જ્યાં લાભુભાઈનો પુત્ર જે આર્મીમાં હોય તે પણ ત્યાં હાજર હતો. તેઓ તમામ લોકોએ રાત્રે સાથે ભોજન કરી અને જમીન મામલે બેઠા હતા. તે દરમિયાન લાભુભાઈ અને તેના પુત્ર અને અન્ય ત્રણ જેટલાં શખ્સોએ ઉશ્કેરાઈ જઈ અને પિતા પુત્રો પર હુમલો કર્યો હતો. અને બાદમાં વિપુલને ઓરડીમાં પુરી દઈ ઢોરમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે તુલસીભાઈ અને નિલેશ બન્ને પિતા પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં વિપુલનું મૃત્યુ થવા પામ્યું હતું. જે બનાવને પગલે વરતેજ પોલીસને જાણ થતા પીઆઇ સહીતનો કાફલો બનાવને લઇ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અને આ બનાવ અંગે પોલીસને જણાવ્યા અનુસાર તુલસીભાઈ પોતાના પુત્રો વિપુલ અને નિલેશ સાથે રૂપિયા ૧.૧૦ કરોડ લઈને સુરતથી કારમાં વાળુકડ ગામ પાસે સીદસર રોડ પર જમીન મામલે સોદો કરવા આવ્યા હતા. જેમાં સામે પક્ષ વાળા લાભુભાઈ સવાણીએ વાડીએ લઈ જઈ તેના પુત્ર અને અન્ય પાંચ શખ્સોએ મળી પિતા પુત્રને બાંધી પૈસા લેતી દેતી બાબતે ઢોર માર મારતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા. અને પિતા-પુત્રની પાસે રહેલા રોકડ રકમ રૂપિયા ૧.૧૦ કરોડ, દાગીના અને મોબાઈલ સહીતની વસ્તુઓ કાઢી લીધેલ હોવાનું પોલીસને જણાવ્યું હતું. જે બનાવમાં ઢોર માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુલ (ઉ.વ.૩૩)નું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતા તુલસીભાઈને સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ સમગ્ર મામલે વરતેજ પોલીસને જાણ થતા સીટી ડિવાઇએસપી આર.આર.સિંઘલ અને પીઆઇ એમ.વી.રબારી સહીતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી હત્યાંના સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા.ઘટનાના પગલે જિલ્લાભરમાં ચકચાર મચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application