દ્વારકાના લીંબડી પાસે કાર પલ્ટી ખાતા મહિલા સહિત બે ના મોત

  • February 03, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય બે ને ઇજા થતા વધુ સારવારમાં જામનગર ખસેડાયા

ભાટીયા-ખંભાળીયા વચ્ચેના લીંબડી ગામે આવેલ પુલ પરથી પસાર થઈ રહેલી કારના ડ્રાઈવરે અચાનક જ કાબૂ ગુમાવતા કાર પુલ પરથી ગડથોલીયું ખાઈ ગઈ હતી. જેમાં મુસાફરી કરી રહેલા પરિવારના એક મહિલા સહિત બે વ્યકિતના મૃત્યુ થયા હતા. જયારે અન્ય બે વ્યકિતને ઇજા થઈ હતી.
ખંભાળીયા દ્વારકા હાઈવે પર ગઇકાલે ભાટીયા નજીક લીંબડી ગામ પાસે પુલ પરથી પસાર થઈ રહેલી મોટર અચાનક જ તેના ચાલકના કાબૂમાંથી બહાર ગયા બાદ રોડ પરથી ઉથલી પલટી મારી ગઈ હતી. જેમાં મુસાફરી કરી રહેલા વ્યકિતઓ પૈકી છાયાબેન ગજેરા તથા હર્ષભાઈ સોજીત્રા નામના બે વ્યકિત ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતની જાણ થતાં ૧૦૮ તથા પોલીસ કાફલો દોડી ગયો હતો.
ઇજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળીયા અને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. એક મહિલા સહિત બે વ્યકિતઓને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મોટર પુલ પરથી કઈ રીતે ગબડી તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કારમાં જામનગર તેમજ ગોંડલ અને ઉપલેટાનો પટેલ પરિવાર મુસાફરી કરી રહ્યો હતો.
***
જામનગર-રાજકોટ રોડ પર મેલડી માતાના મંદિર પાસેથી મળી આવેલા મૃતદેહના પ્રકરણમાં વીજ આંચકો કારણભૂત

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર મેલડી માતાના મંદિર નજીકથી આજે સવારે ૨૫ વર્ષના એક આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને વીજ થાંભલા માંથી કરંટ લાગ્યો હોવાનું અને વીજઆંચકા થી મૃત્યુ થયાનું તારણ નીકળ્યું છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા નજીક મેલડી માતાના મંદિર પાસેથી આજે સવારે નેમિશ સમીર કુમાર સોનૈયા નામનો ૨૫ વર્ષનો આશાસ્પદ યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, જેને ૧૦૮ ની ટુકડીએ મૃત જાહેર કર્યો હતો.
બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબજો સાંભળી લઈ પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું. મૃતક જામનગરમાં ત્રિમંદિર પાછળ મારુતિ નગરમાં રહેતો હોવાનું અને ગ્રેઇન માર્કેટ ના વેપારી નો પુત્ર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે જ્યાંથી મૃતદેહ મળ્યો, તેની બાજુમાં પી.જી.વી.સી.એલ નું સબ સ્ટેશન આવેલું છે, જેના ઇલેક્ટ્રીક વાયરને અડી જવાના કારણે વીજ આંચકો લાગવાથી તેનું મૃત્યુ નીપજયું હોવાનું તારણ નીકળ્યું હતું. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
***
મોટા થાવરીયા પાસે બાઇકની ટકકરમાં યુવાનને ફ્રેકચર

જામનગરના વિકાસગૃહ મેઇન રોડ ખાતે રહેતા જયદીપ ધનસુખભાઇ નિમાવત (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે પંચકોશી-એમાં મોટરસાયકલ નં. જીજે૧૦બીકયુ-૬૬૧૬ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ગત તા. ૩૦ના રોજ મોટા થાવરીયા ગામ પાસે હોટલ નજીકના રોડ પર ફરીયાદી જયદીપભાઇ પોતાની બાઇક નં. જીજે૧૦ડીએસ-૬૬૨૫ લઇને કાલાવડથી જામનગર આવતા હતા.
દરમ્યાન ઉપરોકત બાઇક ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી રોન્ગસાઇડમાં ચલાવી જયદીપભાઇના મોટરસાયકલ સાથે ભટકાડીને અકસ્માત સર્જયો હતો, જેમાં ફરીયાદીને પગ, ઘુંટણ અને હાથની આંગળીઓમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application