પોલીસમેનનો ૧૦ માળના બિલ્ડિંગથી છલાંગ લગાવી આપઘાત

  • April 24, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ રૂરલમાં રીડર શાખામાં ફરજ બજાવતા ભાર્ગવ કમલેશભાઈ બોરિસાગર ઉ.વ.૨૩ નામના પોલીસ કોન્સ્ટેબલે મવડી હેડ કવાર્ટર આવાસ બિલ્ડિંગ પરથી પડતું મુકીને આપઘાત કરી લીધાની ઘટનાથી એકલૌતા યુવાન પુત્રના અવસાનથી વિપ્ર પરિવારમાં કાળો કલ્પાંત થઈ પડયો છે. પોલીસ બેડામાં પણ ભારે શોક છવાયો છે.

જેતપુરના વતની ભાર્ગવ બોરીસાગર નામના પોલીસમેન આજે સવારે અગ્યારેક વાગ્યાના અરસામાં ૧૦ મજલાના બિલ્ડિંગ પરથી પડતું મુકી દીધું હતું. નીચે ધડાકાભેર અવાજ થતાં રહેવાસીઓ તેમજ ત્યાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મીઓ, સ્ટાફ દોડી આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી બેશુધ્ધ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા જયાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત થયેલી વધુ વિગતો મુજબ મૃતક પોલીસમેન રાજકોટ શહેર એલસીબી ઝોન–૧ ટીમના પીએસઆઈ બી. વી. બોરીસાગરના ભત્રીજા થતાં હતા. તેમને જાણ થતાં પીએસઆઈ બોરીસાગર સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસમેન ભાર્ગવ બોરીસાગર મુળ ખાણ ખીજડિયા ગામના વતની હતા. તેમના પિતા અને પરિવારજનો જેતપુર જ રહે છે.

જેતપુર સિટી પોલીસમાંથી ચાર માસ પહેલા બદલી થતાં રાજકોટ રૂરલ પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતા હતા. મૃતક એક ભાઈ એક બહેનમાં મોટા હતા. સવા વર્ષ પૂર્વે અમરેલીના લાખાપાદર ગામના રહેવાસી વિપ્ર પરિવારની પુત્રી સાથે લ થયા હતા. બદલી થતાં પત્ની સાથે ચાર માસથી રાજકોટના માધાપર ચોકડી પાસે મહાવીર એપાર્ટમેન્ટમાં ભાડાના ફલેટમાં  રહેતા હતા અને ચાર દિવસ પહેલા જ સરકારી આવાસ કવાર્ટર ફાળવાયું હતું. ત્યાં પત્ની સાથે રહેવા જાય એ પૂર્વે જ આજે મોતની છલાંગ લગાવી દીધી હતી. એકલૌતા યુવાન પુત્રના આપઘાતથી પરિવાર શોકગમ બની ગયો છે. મૃતકના ખિસ્સામાંથી કોઈ સ્યૂસાઈડ નોટ કે કાંઈ વસ્તુ પણ મળી નહતી. તાલુકા પોલીસે આપઘાત અંગે તપાસ આરંભી છે
 
આઠમા માળેથી પડતું મુકયાની સંભાવના
પોલીસમેન ભાર્ગવ બોરીસાગરે જે બિલ્ડિંગ પરથી પડતું મુકયું ત્યાં તેમની કોઈ આવનજાવન પણ ન હતી. લિફટનો ઉપયોગ કરવાના બદલે તે સીડી ચડીને ગયા હોવાથી સીડીની સ્ટીલની રેલિંગમાં મૃતકના ફિંગર પ્રિન્ટ પણ મળ્યા હોવાનું જાણવા મળે છે. દશમા માળે જાળી લોક હતી જેથી ઉપર છેલ્લા મજલે પહોંચી ન શકયા હોય કદાચિત સાતમા કે આઠમા માળેથી ફડતું મુકયું હોવાની સંભાવના છે

ઘરેથી આનંદમય રીતે જમીને નીકળ્યા હતા, રહસ્ય અકબંધ
આત્મઘાતી પગલું ભરી લેનાર પોલીસમેન ભાર્ગવ બોરીસાગર પત્ની સાથે એકલા જ રહેતા હતા. આજે સવારે સાડાદશેક વાગ્યા બાદ ઘરેથી જમીને ફરજ પર જવાનું કહી નીકળ્યા હતા. ફરજ સ્થળને બદલે સીધા બિલ્ડિંગ પર પહોંચીને પડતું મુકી જિંદગી ટૂંકાવી નાખી હતી

સ્પીડમાં બાઈક ઉભું રાખ્યું, લિફટના બદલે બિલ્ડિંગનાં પગથિયા ચડયા
બનાવ સંદર્ભે ત્યાંના રહેવાસી કે નજરે જોનારાઓના કહેવા મુજબ સિવિલ ડ્રેસમાં સ્પીડમાં બાઈક પર ભાર્ગવ બોરીસાગર આવ્યા હતા. બ્લોક નં.બી૧૨ નંબરના દશ માળના બિલ્ડિંગ પાસે બાઈક ઉભુ રાખયું હતું. લિફટમાં જવાના બદલે સડસડાટ પગથિયા ચડયા હતા અને દશમા માળના બિલ્ડિંગેથી નીચે પડતું મુકયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application