વ્યસનના લીધે નોકરીમાંથી કાઢી મુકતા ડ્રાઇવરે સ્વામીનારાયણ મંદિમાંથી કાર ચોરી

  • March 23, 2024 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિરમાથી કારની ચોરી થઇ હતી, જે ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી ચોરીમાં મંદિરના પૂર્વ ડ્રાઇવરને જ ઝડપી લીધો હતો.વ્યસનના લીધે નોકરીમાંથી કાઢી મુકતા આ બાબતનો રોષ રાખી તેણે અહીંથી કાર ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, સ્વામિનારાયણ મંદિરના પાર્કિંગમાંથી ગુરૂવારે સાંજે મંદિરની અર્ટીકા કારની ચોરી થઇ ગઇ હતી. કાર ચોરી અંગે મંદિરના ટ્રાન્સપોર્ટ મેનેજર અંકિતભાઇ રાજેશભાઇ પટેલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શખ્સ કેમેરામાં કેદ થયો હતો.

ચોરીની ઘટનાને લઇ ક્રાઇમબ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એન.પરમાર તથા તેમની ટીમે તપાસ ધરી હતી.દરમિયાન એએસઆઇ જલદિપસિંહ વાઘેલા,કોન્સ. મહાવિરસિંહ ચુડાસમા તથા હિરેનભાઇ સોલંકીને એવી બાતમી મળી હતી કે, કાર ચોરીમાં મંદિરનો જ પૂર્વ કર્મચારી આણંદના દંતેલી ગામનો મયંક રમેશ સુથાર(ઉ.વ 34) સંડોવાયો છે.પોલીસે કુવાડવા હાઇવે પરથી આરોપીને મયંકને કાર સાથે ઝડપી લીધો હતો.
આરોપીએ કબૂલાત આપી હતી કે, અગાઉ તે સ્વામિનારાયણ મંદિરમાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો, પરંતુ વ્યસનને કારણે દોઢ વર્ષ પહેલા તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો, નોકરીમાથી કાઢી મુકાતા તે વાતનો રોષ હતો, મંદિરની માલિકીના વાહનોની ચાવી ક્યાં રહે છે તે વાતથી તે વાકેફ હતો, મંદિરની કાર ચોરવાનો અને તે કાર ચોરીને વર્ધીમાં ચલાવવાનો પ્લાન કર્યો હતો. ગુરૂવારે સાંજે મંદિરમાં આરતીના સમયે પોતે ઘુસ્યો હતો અને ચાવીના સ્ટેન્ડે જઇ ત્યાંથી અર્ટીકા કારની ચાવી ઉઠાવી કાર હંકારીને નાસી ગયો હતો. મયંક અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application