જામનગર રાજપૂત સમાજની 84 મી વાર્ષિક સાધારણ સભા

  • October 02, 2024 01:20 PM 

ધારાસભ્ય, પૂર્વ મંત્રી વિગેરેની ખાસ ઉપસ્થિતિ

     જામનગર રાજપુત સેવા સમાજની 84 મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં મુખ્ય અતિથિ તરીકે જામનગરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) મેરૂભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

        આ સભામાં સમાજના હોદ્દેદારો ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, ફગાસ સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા, ગઢકા જોઈન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ જાડેજા (લાખાણી), કારોબારી સભ્યો પ્રવિણસિંહ લાવડીયા તેમજ વિજયસિંહ વાળા (ભાણવડ), યુવરાજસિંહ જાડેજા (કાલાવડ), ઈન્દુભા જાડેજા (કાલાવડ), પી.બી. જાડેજા (જામનગર), કિશોરસિંહ જાડેજા (ખીજદડ), કિશોરસિંહ જાડેજા (ધ્રાફા), દેવુભા વાઢેર (ભીમરાણા) તેમજ સમાજના આજીવન સભ્યો વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

      આ વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી રજુ કરવામાં આવી હતી. જેમાં જામ શ્રી રણજીતસિંહજી છાત્રાલય અને રાજપુત સમાજ કન્યા છાત્રાલયમાં રહી અને જે દિકરા અને દિકરીઓ અભ્યાસ કરે છે, તે તમામ વિદ્યાર્થીઓને જે-તે ધોરણમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓનું સમાજ તરફથી મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

      આ પ્રસંગે સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે આપણા બંને છાત્રાલયોમાં અંદાજે 600 દિકરા-દિકરીઓ છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરે છે. તેમાં છેલ્લા 10 વર્ષથી 10 માં અને 12 માં ધોરણમાં ટકાવારીમાં મહદ અંશે આગળ વધીને છેલ્લા પાંચ વર્ષથી અનુક્રમે 97 ટકા અને 100 ટકા પરિણામ આવી રહ્યું છે. જે રાજપુત સમાજના હોદ્દેદારો અને વહીવટકર્તાઓની સારી કામગીરીની નિશાની છે. આગામી સમયની માંગને ધ્યાનમાં રાખીને જેમ છેલ્લા 18 વર્ષથી તમામ દિકરીઓને કોઈપણ જાતની ફી લીધા વગર વિના મૂલ્યે ભણાવીએ છીએ, તે રીતે આગામી સમયમાં કોલેજમાં પણ વિના મૂલ્યે ભણાવી શકીએ તે માટેનું આયોજન અને તે કાર્યવાહી કરવા માટેનું સમાજ વિચારી રહી છે. કારણ કે 12 માં ધોરણ સુધી જે દિકરીઓ ભણે છે. તેમાંથી આગળ ભણવા માટેની સગવડ અથવા તો વ્યવસ્થા નહીં હોવાના લીધે 70 ટકા ડ્રોપ રેશિયો રહ્યો છે. જે ડ્રોપ ન થાય તેના માટે ભવિષ્યમાં આવા વિશાળ સંકુલોનું નિર્માણ કરી તેમાં મધ્યમ વર્ગના દિકરીઓ રહેવા અને જમવા સાથેનું વિના મૂલ્યે શિક્ષણ આપી શકીએ તેવું આયોજન કરવા જઈ રહ્યા છીએ.

        આ આયોજન અંગે પૂર્વ મંત્રીશ્રી હકુભા જાડેજા અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સમર્થન આપતા જણાવ્યું હતું કે આ કાર્યમાં જે કાંઈ જરૂરિયાત પડે તે માટે અમો તન, મન અને ધનથી સહકાર આપવાની ખાતરી આપીએ છીએ. સાથે સાથે આ માટે ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોને પણ આગામી શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે તેમાં સ્વૈચ્છાએ તન, મન, ધનથી મદદ કરવા માટે અપિલ કરવામાં આવી હતી.

       આ સભામાં કાર્યક્રમ દરમ્યાન છાત્રાલયના દિકરીઓએ સુદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. જેનાથી પ્રભાવિત થઈને હોદ્દેદારોએ અને સભ્યોએ તમામ બાળાઓને રોકડ રકમ વડે પ્રોત્સાહિત કરી હતી.

           આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પૂર્વ સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. ટ્રસ્ટના અને સમાજના હિસાબોનું વાંચન સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજાએ અને સંચાલન આર.આર. શાહ હાઈસ્કુલ પ્રિન્સિપલ પી.પી. જાડેજાએ કર્યું હતું. આભારવિધિ જોઈન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ જાડેજાએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુ-ટ્યુબ ઉપર કરવામાં આવેલ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application