સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વિનાશકારી આગમાં 450 દુકાનો ખાક, મંદીમાં વેપારીઓને કરોડોનું નુકસાન, રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

  • February 27, 2025 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે સવારે 7 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઊઠી હતી. જોત જોતમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે અને હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે. જોકે આ વિનાશકારી આગમાં ચાર માળના બિલ્ડિંગમાં આવેલી 450 દુકાનો ખાક થઈ ગઈ છે.  


મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિતનાએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ જાણી હતી. 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. ત્યારે ભીષણ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, અત્યારે મહદઅંશે આગ કાબૂમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. મેં રિપોર્ટ મંગાવ્યો છે કે, કેટલું ગેરકાયદે સ્ટ્રક્ચર હતું. રિપોર્ટ આવ્યા બાદ ગેરકાયદે સ્ટ્રક્ચર અંગે ખબર પડશે, પણ અત્યારે અમારી પ્રાયોરિટી આખા બિલ્ડિંગમાં કુલિંગની પ્રક્રિયા થાય તે છે. બેઝમેન્ટમાં રહેલી દુકાનો યોગ્ય છે તે અંગે સવાલ કરતા મેયરે જણાવ્યું કે, તેનો પ્લાન પાસ હશે તે પ્રમાણે તેની એનઓસી પણ છે. જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે, ત્યારે મુખ્યમંત્રી પણ નજર રાખતા હોય છે. સાથે સાથે રાજ્ય ગૃહમંત્રીનો પણ આ બાબતે ફોન આવતો રહ્યો છે.


કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં ટેક્સટાઈલ્સ માર્કેટની આગ ઉપર 30 કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી તે સવાલ પર મેયરે જણાવ્યું કે, આ ધંધો પેટ્રોલિયમ વસ્તુ છે. એક-એક દુકાનમાં સિઝન છે એટલે સ્ટોક ભરેલો હતો, એટલે ફાયરના જવાનોને આગને કાબૂ કરવામાં વાર લાગી છે. ગુજરાતમાં સુરતની ફાયર સિસ્ટમ બેસ્ટ અને નંબર વન છે.


વેપારી નેમારામે જણાવ્યું હતું કે, દુકાનોમાં સ્ટોક ખૂબ જ મોટા પ્રમાણમાં હતો.  હવે અમારી દુકાન ક્યારે શરૂ થશે, તેનો કોઈ અંદાજ નથી. જે કરોડપતિ હતા, તે હવે રોડપતિ થઈ ગયા છે. વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. હવે ફરીથી આ દુકાનો ક્યારે શરૂ થશે તેની કોઈ જ માહિતી નથી અને તે કહેવું મુશ્કેલ પણ લાગી રહ્યું છે. અધિકારીઓ આ બાબતે કેવી રીતે કાર્યવાહી કરે તે હવે એમના ઉપર જ છે. અમને તો એમાં કંઈ ખ્યાલ આવતો નથી.


સ્મીમેર હોસ્પિટલમાં તૈયારીઓ કરી દેવાઈ
સુરત ફાયર વિભાગમાંથી સૂચના આવ્યા બાદ સ્મીમેર હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ શિવશક્તિ માર્કેટ ખાતે મોકલવામાં આવી છે. આ સાથે જ ઇમરજન્સી વિભાગમાં ચાર ડિપાર્ટમેન્ટના હેડ, સીએમઓ, રેસિડેન્સ તબીબ સહિતના 25થી 30 લોકોનો સ્ટાફને પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગના કર્મચારીઓને કોઈ તકલીફ થાય તો તેના માટે હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે. 


રિલાયન્સ, ઓએનજીસી, હજીરાના ફાયર ફાઈટરની મદદ લેવાઈ
ઘટનાસ્થળે પહોંચેલા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ગતરોજ શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ બાદ મેજરકોલ જાહેર કરવામાં આવ્યો હતો. સતત ફાયર વિભાગની ટીમો આગને કાબૂમાં લેવાના તમામ સંભવિત પ્રયાસ કરી રહી છે. હાઈડ્રોલિંક મશીન સહિતના મશીનોથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યાં છે. પાણીની અછત ન પડે તે માટે વોટર ટેન્કર પણ ઉપલ્બધ કરવવામાં આવ્યાં છે. કલેક્ટર અને પોલીસ સાથે સંકલન કરીને રિલાયન્સ, ઓએનજીસી, હજીરા, એમેસના ફાયર ફાઈટર- મેનપાવરની મદદ લેવામાં આવી છે. મેડિકલ સહિતની જુદી-જુદી ટીમો સાથે પણ વાત થઈ છે અને તમામ સ્ટેન્ડબાય છે. 


આજીવિકા છીનવાતાં વેપારી રડી પડ્યો
ટેક્સટાઈલ માર્કેટમાં મોટે ભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગમાં એક વેપારીની દુકાન બળીને ખાખ થઈ જતાં અને પોતાની આજીવિકા છીનવાતાં વેપારી રડતો જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application