જિલ્લા પંચાયતના 45 તલાટીઓની માગણી મુજબના સ્થળે બદલી કરાઈ

  • July 10, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતમાં જ્યારે તલાટી કમ મંત્રીઓની બદલી થતી હોય છે ત્યારે બદલી સામે વ્યાપક પ્રમાણમાં વિરોધ પણ થતો હોય છે. પરંતુ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ.જી. ગોહિલે 53 તલાટી કમ મંત્રીની બદલી કરી છે. તેમાંથી 45 ની માગણી મુજબના સ્થળોએ બદલી કરી હોવાથી વિરોધ થયો નથી.
જે આઠ તલાટી કમ મંત્રીની વહીવટી કારણોસર બદલી થઈ છે તેમાં કોટડા સાંગાણીના અનિડા વાછરાના તલાટી પી.આર ગોસાઈને તે તાલુકામાં જ રામોદ ખાતે મૂકવામાં આવ્યા છે. આવી રીતે ગોંડલના ડૈયા ગામે ફરજ બજાવતા એસ.ડી.સોલંકીને ગોંડલના આંબરડીમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટ તાલુકાના વાજડી વિરડામાં ફરજ બજાવતા ડી.વી.ગઢવીને જામકંડોરણા તાલુકાના રોઘેલમાં મૂકવામાં આવ્યા છે. ધોરાજી તાલુકાના કલાણાના જનક કે. ચાવડાને ઉપલેટા તાલુકાના હરિયાસણમાં પોસ્ટિંગ અપાયું છે. ગોંડલના આંબરડીમાં ફરજ બજાવતા સંજના ચૌહાણને ડૈયા મૂકવામાં આવ્યા છે. ગોંડલના નાના ઉમવાડા ખાતે ફરજ બજાવતા નેહા વાઢેરને ગોંડલ તાલુકાના ગોમટા-2 માં મૂક્યા છે. ધોરાજીના જમનાવડના સંદીપ કાકડીયાને ધોરાજી તાલુકાના ભૂખી ગામે નવી ફરજ સોપવામાં આવી છે. ગોંડલ તાલુકાના તલાટી કમ મંત્રી ડી.કે વોરાને ગોંડલ તાલુકાના દેવડા ગામે મૂકવામાં આવ્યા છે. આમ વહીવટી કારણોસર પણ જે તલાટીઓની બદલી થઈ છે તેમાં આઠમાંથી સાતને તેના મૂળ તાલુકામાં જ રાખવામાં આવ્યા છે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) આઈ. જી. ગોહિલે આ હુકમની તાત્કાલિક અસરથી અમલવારી કરવા અને જે તે તાલુકા વિકાસ અધિકારીઓએ બદલી કરવામાં આવી છે તેવા તલાટી મંત્રીઓને છૂટા કરવા અને હાજર કરવા સૂચના આપી છે. આ અંગેની અમલવારીનો રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application