436 કરોડ મિલકત વેરાની બાકી વસૂલાત વચ્ચે આ વર્ષે જામ્યુકોના લેણાંમાં રૂા. 40 કરોડનો વધારો

  • June 26, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષે રૂ. 100 કરોડ નવા વેરાની ઉભી થતી ડિમાન્ડ સામે 60 કરોડ વેરો આસામીઓ ભરપાઇ કરે છે


જામનગર મહાનગરપાલિકા દ્વારા જો બાકી તમામ મિલકત વેરાની વસૂલાત કરવામાં આવે તો વિકાસકાર્યો માટે ગ્રાન્ટની નહીંવત જરૂર પડે


જામનગર મહાનગરપાલિકાની 436 કરોડ મિલકત વેરાની બાકી વસૂલાત વચ્ચે દર વર્ષે મિલકત વેરાના લેણાંમાં રૂ.40 કરોડનો વધારો થઇ રહ્યો છે. કારણ કે, દર વર્ષે રૂ.100 કરોડ નવા મિકલત વેરાની ઉભી થતી ડીમાન્ડ સામે રૂ.60 કરોડ વેરો આસામીઓ ભરપાઇ કરે છે. મિકલત વેરાની બાકી રકમ વ્યાજના કારણે વધી રહી છે. જો જામ્યુકો દ્રારા બાકી તમામ મિલકત વેરાની વસૂલાત કરવામાં આવે તો વિકાસકાર્યો માટે ગ્રાન્ટની નહીંવત જરૂર પડે તેમાં બેમત નથી.


જામનગર મહાપાલિકાના ચોપડે તા.25-1-2024ની સ્થિતિએ રૂ.436,77,95,673નો મિલકત વેરો બાકી હોવાનું નોંધાયું છે. જેમાં કારપેટ બેઇઝ પધ્ધતિનો વેરો રૂ.3768808176 અને રેન્ટ બેઇઝ પધ્ધતિ વેરા રૂ.598987497નો સમાવેશ થાય છે. બંને વેરામાં કુલ 249447 મિલકતનો સમાવેશ થાય છે. નવાઇની વાત તો એ છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી મિકલત વેરાની મસમોટી રકમ બાકી છે. આમ છતાં મનપા દ્રારા નકકર વસૂલાત કરવામાં આવતી નથી.


બીજી બાજુ જામ્યુકોના મિલકત વેરા વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર દર વર્ષે નવી રૂ.100 કરોડની નવી ડીમાન્ડ એટલે કે શહેરીજનોએ મિલકત વેરો ભરવાનો થાય છે. જેમાંથી 60 ટકા આસામીઓ એટલે કે રૂ.60 કરોડ વેરાની આવક થાય છે. આથી દર વર્ષે જામ્યુકોના મિલકત વેરાના લેણાંમાં રૂ.40 કરોડનો વધારો થઇ રહ્યો છે. જેના કારણે મિકલત વેરાની બાકી રકમ અબજની સંખ્યામાં પહોંચી છે.


નવી મિલકત વેરાની ડીમાન્ડમાં લોકોની ઉદાસીનતાના કારણે વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ જામ્યુકો પાસે સ્ટાફ અને કડક કાર્યવાહીના અભાવના કારણે પણ મિલકત વેરાની બાકી રકમમાં વધારો થઇ રહ્યો છે. જો બાકી મિલકત વેરાની સમયસર વસૂલાત કરવામાં આવે તો મનપાને કોઇ ગ્રાન્ટની જરૂર પડે નહીં તેમ તજજ્ઞોએ જણાવ્યું છે.


સ્ટાફની ઘટ, રહેણાંક મકાનોમાં કડક સીલીંગ કાર્યવાહીના અભાવે કરોડોનો વેરો બાકી...

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખામાં સ્ટાફની ઘટ પ્રવર્તી રહી છે. જેના કારણે બાકી વેરાની વસૂલાત સમયસર થતી નથી. તદઉપરાંત ખાસ કરીને બાકી વેરા સબબ જેમ વ્યવસાયિક એકમો સીલ કરવામાં આવે છે તે રીતે કડક કાર્યવાહી કરી રહેણાંક મકાન સીલ કરી શકાતા નથી. આથી જયારે મકાન વેંચવું હોય ત્યારે બાકી વેરો ભરવા આસામીઓ આવે છે. આ પણ બાકી વેરાનુ એક મહત્વનું કારણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application