ઉરીમાં 3 આતંકી ઠાર, બે મૃતદેહ આર્મીના કબજામાં હજુ સર્ચ ઓપરેશન યથાવત

  • September 16, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧ મૃતદેહ પાકિસ્તાન બોર્ડર પર, સતત ગોળીબારના કારણે લઈ ન શક્યા જવાનો   


આજે સેનાના જવાનોએ કાશ્મીરના બારામુલ્લાના હથલંગા, ઉરી વિસ્તારમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યો છે. જ્યારે હજુ અન્ય આતંકીઓની શોધખોળ ચાલુ છે. સવારે આ વિસ્તારમાં ૩ આતંકવાદીઓ જોવા મળ્યા બાદ આર્મી-પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. 


અહેવાલો અનુસાર, આ એ જ વિસ્તાર છે જ્યાં સુરક્ષા દળોએ ડિસેમ્બર ૨૦૨૨માં એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ એક ગુફામાંથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. છેલ્લા ૬ દિવસમાં આ પાંચમું એન્કાઉન્ટર છે. ૧૧ સપ્ટેમ્બરે રાજૌરીમાં ૨ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ૧ જવાન શહીદ થયો હતો. ૧૩ સપ્ટેમ્બરે અનંતનાગના કોકરનામાં ૪ જવાનો શહીદ થયા હતા, જયારે આજે સેનાએ એન્કાઉનટરમાં ૩ને ઠાર માર્યો છે, હવે અન્ય આતંકીઓની શોધ ચાલી રહી છે. માર્યા ગયેલા બે આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રીજા આતંકીનો મૃતદેહ બોર્ડર પાસે પડ્યો છે. પાકિસ્તાન ચોકી પરથી સતત ગોળીબારના કારણે મૃતદેહ ઉપાડી શકાયો ન હતો. ત્રણેયની ઓળખ થવાની બાકી છે.



જમ્મુ કાશ્મીર પોલીસે પહેલા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર જણાવ્યું હતું કે સેના અને પોલીસ કર્મચારીઓએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. આતંકવાદીઓની ગતિવિધિઓ પર આકાશમાંથી પણ નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગના પહાડી વિસ્તારોના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. હવે ગણતરીના કલાકોમાં જ બીજો આતંકવાદી પણ જવાનોનો નિશાના પર આવી ગયો છે.


પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગના પહાડી વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ ઊંચાઈથી ફાયરિંગ કરી રહ્યા છે. હવે પેરા કમાન્ડોને બોલાવવામાં આવ્યા છે. આતંકવાદીઓ ખૂબ ઊંચાઈ પર હોવાને કારણે તેમના ચોક્કસ સ્થાનની ખાતરી થઈ શકતી નથી અને તેઓ સતત તેમનું સ્થાન બદલી રહ્યા છે. હેલિકોપ્ટર અને સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે. પીર પંજાલ નામનો આ પર્વતીય વિસ્તાર લગભગ ૪૩૦૦ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે સર્ચ ઓપરેશન માટે એક મોટો પડકાર છે. આતંકવાદીઓ ઉંચાઈ પર હોવાના કારણે તેઓ ઓપરેશન દરમિયાન સેના અને પોલીસ અધિકારીઓને નિશાન બનાવવામાં સફળ રહ્યા હતા.



વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કાશ્મીરમાં ૪૨ આતંકવાદીઓ ઠાર મરાયા

કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે, જેમાં આટલા વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા છે. અગાઉ, ૩૦ માર્ચ, ૨૦૨ ના રોજ, કાશ્મીરના હંદવાડામાં ૧૮ કલાકના હુમલામાં કર્નલ, મેજર અને સબ-ઇન્સ્પેક્ટર સહિત પાંચ અધિકારીઓ શહીદ થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ૪૨ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી માત્ર ૮ સ્થાનિક હતા અને બાકીના તમામ વિદેશી હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application