૨૩ જુન, કટોકટી: લોકશાહી માટે કાળો દિવસ: જામનગર શહેર ભાજપ

  • June 28, 2024 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ઈતિહાસમાં લોકતંત્રની હત્યા એટલે કટોકટી. ૨3 જુન ૧૯૭૫ નો દિવસ એટલે ભારત પર લાંછન, ભારતની ગરીમા, ભારતીય લોકતંત્રને તારતાર કરનાર કટોકટીના આ દિવસે ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા આંસુ ભીની આંખ આ દિવસને યાદ કરીને કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય મહેમાન પૂર્વમંત્રી  આઈ.કે.જાડેજા ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયાએ સ્વાગત પ્રવચન કર્યું અને મહામંત્રી વિજયસિંહ જેઠવાએ પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાનો વિસ્તૃત પરિચય આપ્યો હતો.


લોકશાહીને કલંક રૂપ આ કટોકટીના દિવસની વાત કરતા આઈ.કે.જાડેજાએ કહ્યું કે, 23 જુનનો એ કાળો દિવસ... વર્ષોથી ભાજપ દ્રારા આ દિવસને યાદ કરવામાં આવે છે અને જે લોકોએ દેશના બંધારણ સામે વિક્ષેપ ઉભા કર્યા છે તે સમાજ સુધી લઈ જવા કાર્યક્રમ યોજાય છે. આજે કટોકટી ને ૫૦ વર્ષ થયાં, તે સમયના લોકોને તો આ કાળા દિવસની,તે સમયની ગંભીર અને ખરાબ પરિસ્થિતિની જાણ છે જ... પણ આજના યુવાને ને તે સમયના આવા કેટલાય તોફાનો, મૂશ્કેલીઓની જાણ નથી, દેશહિત માટે અમુક બાબતો યાદ રાખવી અને યાદ કરાવવી જરૂરી બને છે, તે સમયની પરિસ્થિતિની જાણ આજની પેઢીને થાય એ માટે ભારતીય જનતા પાર્ટી આવા કાર્યક્રમો યોજે છે.


૨3 જુન ૧૯૭૫ના રોજ લોકતંત્રની હત્યા કરવાનું કાર્ય તે વખતની સરકારે કરેલું. ફરીથી આવું ન થાય તે માટે જાગૃતિ લાવવા આવા કાર્યક્રમો જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશહિતને વધુ મહત્વ આપે છે, અને તે માટે જ કાર્ય કરે છે. ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ દેશહિત અને રાષ્ટ્રહિત માટે સંધર્ષમય જીવન જીવ્યા છે. ૨3 જૂન ૧૯૭૫ ના સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી. કટોકટી લાદવામાં આવી ત્યારે શરુઆતમાં ગુજરાતમાં તેની અસર ઓછી હતી, પરંતુ પછીથી ગુજરાતના આગેવાનોની પણ ધરપકડ કરવામાં આવી. તે સમયના વડાપ્રધાન  ઇન્દિરા ગાંધી સરમુખત્યાર જેવું વર્તન કરતા હતા. તેમની જીત બાદ હાઈકોર્ટે તેમને ખોટા ઠેરવી ને ચૂંટણી રદબાતલ કરવાનો હુકમ કર્યો હતો, આથી સમસમી ગયેલા ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ જાહેર કરાવ્યો હતો અને કટોકટી ઉભી કરી અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી દમન અને શોષણનો દોર શરૂ થયો અને પ્રેસ મીડિયા પર સેન્સરશીપ લાદવામાં આવી, વ્યક્તિના મૌલિક અધિકારો પર તરાપ મારવામાં આવી, રાજકારણીઓ અને આગેવાનોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.


તે સમયે કાયદાને તોડીને મીશાનો કાયદો ઘડવામાં આવ્યો, અને તે અંતર્ગત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મોટાભાગના આગેવાનો જેલમાં હતા, પણ બહાર હતા તે કાર્યકર્તાઓએ વિરોધ ના આંદોલન શરૂ કર્યા હતા. તેમાં જનસંઘે લોકતંત્રની રક્ષા કરવાનું કાર્ય કર્યું, જોર જુલમ સામે ઝુકયા વગર આંદોલન ચાલુ રખાયા, અને લોકજુવાળ જોતા કટોકટી ઉઠાવી લેવાય, વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અત્યારે બંધારણની વાત કરે છે, પણ એ જ કોંગ્રેસે તે સમયે બંધારણ તોડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ તો હમેશા દેશહિતના કાર્યો જ કર્યો છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોની વાત કરી હતી, આ ઉપરાંત કટોકટી સમયે જેલમાં ગયેલા જામનગરના વતની દિનેશભાઇ વ્યાસ અને ડો. જગદીશભાઈ ધોળકિયાનુ સન્માન કરાયું હતું અને તેમણે તે સમયના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.


આ તબક્કે શહેર અધ્યક્ષ ડૉ વિમલભાઈ કગથરા, આઇ.કે.જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટિંગ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવા, દિનેશ પટેલ, બીનાબેન કોઠારી, જયશ્રીબેન જાની સહિત સંગઠનના હોદેદારો,  કોર્પોરેટરો, મોરચાના પ્રમુખો, મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિના સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application