હજ માટે ગયેલા 14 લોકોના મોત! 2,700થી વધુની તબિયત લથડી, સાઉદીએ કરી આ અપીલ

  • June 17, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઉદી અરેબિયામાં હજ માટે ગયેલા 14 લોકોના મોત થયા છે. રવિવારે અધિકારીઓએ જણાવ્યું કે આ મૃત્યુ ભારે ગરમીને કારણે થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તમામ લોકો જોર્ડનના હતા.


જોર્ડનની સરકારી સમાચાર એજન્સી અનુસાર જોર્ડનના વિદેશ મંત્રાલયે કહ્યું કે 14 લોકોના મોત ઉપરાંત 17 લોકો ગુમ છે. મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે હીટસ્ટ્રોકના કારણે 6 લોકોના મોત થયા છે.


ગુમ થયેલા 17 લોકોની શોધખોળ ચાલુ છે અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને જોર્ડન લાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. સાઉદી અરેબિયામાં ખૂબ જ ગરમી છે અને મક્કામાં ગયા શુક્રવારે સાંજે હજની શરૂઆત થઈ હતી.


મક્કામાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચ્યુ


સાઉદીના હવામાન અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે મક્કા શહેરમાં તાપમાન 47 ડિગ્રી અને મિના શહેરમાં 46 ડિગ્રીએ પહોંચી ગયું.


સાઉદી આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અલ-અબ્દુલાલીએ પત્રકારોને જણાવ્યું હતું કે માત્ર રવિવારે ગરમીના કારણે સનસ્ટ્રોકના 2,760 કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધી શકે છે. તેથી યાત્રાળુઓએ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને વધુ પાણી પીવું જોઈએ. તેમણે કહ્યું, 'ગરમી અમારા માટે એક મોટો પડકાર છે.'


આ વર્ષે હજ 14 જૂનથી શરૂ થઈ હતી અને 19 જૂન સુધી ચાલશે. દુનિયાભરમાંથી લાખો મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પહોંચ્યા છે. ઇસ્લામમાં શારીરિક અને માનસિક રીતે સક્ષમ મુસ્લિમો માટે હજ કરવી ફરજિયાત છે.


ગયા વર્ષે પણ થયા હતા સેંકડો લોકોના મોત


ગયા વર્ષે લગભગ 20 લાખ મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. જેમાંથી 240 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. જો કે તેમના મૃત્યુ પાછળનું કારણ જણાવવામાં આવ્યું નથી. સાઉદીના એક અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે ગરમી સંબંધિત બીમારીના 10,000 કેસ નોંધાયા હતા. જેમાંથી 10% હીટસ્ટ્રોકના કેસ હતા.


દર વર્ષે સાઉદી અરેબિયા મક્કાના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે મોટી વ્યવસ્થા કરે છે પરંતુ ભારે ભીડ અને તીવ્ર ગરમીના કારણે હાજીઓ અને પોલીસ અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભીડને કારણે મોટી દુર્ઘટનાઓ બને છે જેમાં સેંકડો લોકો મૃત્યુ પામે છે.


સપ્ટેમ્બર 2015માં હજ દરમિયાન થયેલી નાસભાગમાં 717 લોકો માર્યા ગયા હતા અને લગભગ 863 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મક્કા શહેરથી લગભગ 6-7 કિલોમીટર દૂર સ્થિત મીના શહેરમાં 'શેતાનને પથ્થર મારવાની' ધાર્મિક વિધિ દરમિયાન બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application