દરેડમાં 11 વર્ષની બાળાનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • March 11, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે અરેરાટી : મોટી બેને જોવા માટે મોબાઇલ નહીં આપતા પગલુ ભર્યુ : કુમળી વયના બાળકોમાં મોબાઇલનું વળગણ ચિંતાજનક


જામનગર તાબેના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે એક કણ કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર 11 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે, મોટી બેન પાસે જોવા માટે મોબાઇલ બાળાએ માંગ્યો હતો આથી બહેને પછી લઇ જવાનું કહેતા આ બાબતનું મનમાં લાગી આવતા પગલુ ભરી લીધુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કુમળી વયના બાળકોમાં મોબાઇલ જોવાનું વળગણ ખુબજ ચિંતાજનક રીતે વધી રહયુ છે અને જો મોબાઇલ આપવામાં ન આવે તો બાળકો જીદે ચડી જતા હોય છે અને તોફાન કરતા હોવાના પણ દાખલાઓ સામે આવતા રહે છે. મોબાઇલના મામલે બાળાએ આત્મઘાતી પગલુ ભરી લેતા જામનગર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. અત્રે એ પણ નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા દરેડ વિસ્તારમાં જ એક 14 વર્ષના બાળકે આપઘાત કર્યો હતો.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મુળ મઘ્યપ્રદેશના ગુમાનપુરાના વતનહી અને હાલ દરેડ જીઆઇડીસી ખાતે રહેતી મયાવતી કામતાપ્રસાદ જાટવ નામની 11 વર્ષની બાળાએ ગઇકાલે સાંજે પોતાના રહેણાંક મકાને લોખંડની આડીમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા 108ને જાણ કરવામાં આવી હતી દરમ્યાન ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. બાળકીના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ ગઇ છે.


આ અંગે મૃતકના મોટા બહેન દરેડ જીઆઇડીસી સરદાર ઇન્ડ. એસ્ટેટ રોડ પ્લોટ 12 ખાતે રહેતા કાજલ વિનોદભાઇ જાટવ (ઉ.વ.21) એ પંચ-બીમાં જાણ કરી હતી, જેમા જણાવ્યુ હતું કે જાહેર કરનાર પાસે બાળકીએ મોબાઇલ માંગતા તેને મોબાઇલ આપ્યો ન હતો અને પછી લઇ જવા કહયુ હતું, જે બાબતનું બાળાને લાગી આવતા પોતાની મેળે આ પગલુ ભરી લીધુ હતું. આ વિગતોના આધારે પંચ-બીના પીઆઇ રાઠોડની સુચનાથી હેડ કોન્સ એસ.એસ. જાડેજા આ અંગેની તપાસ અને આગળની કાર્યવાહી ચલાવી રહયા છે.


પરપ્રાંતીય બાળકીએ મોબાઇલ નહી આપવાના મામલે આત્મઘાતી પગલુ ભરી લેતા દરેડ અને જામનગર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આજે મોબાઇલનું વળગણ બાળકોમાં ખુબ જ વધી રહયુ છે જે માટે વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે, ઘણા કિસ્સાઓમાં મોબાઇલ મેનીયા મોત સુધી દોરી જતા હોવાના બનાવો સામે આવી ચુકયા છે જામનગર નજીકના દરેડમાં પણ મોબાઇલ નહી આપતા બાળકીએ જીવતર ટુંકાવી લીધું છે જે બતાવે છે કે કેટલી હદે બાળકો મોબાઇલની પાછળ ઓળઘોળ બની ગયા છે અમુક કિસ્સામાં આપણે જોઇએ છીએ કે બાળકોને કિશોર વયનાઓને મોબાઇલ ન આપીએ તો તેઓ જીદે ચડી જતા હોય છે આ પ્રકારના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં દરેડ વિસ્તારમાં જ એક પરપ્રાંતીય 14 વર્ષના બાળકે લાગી આવતા આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો દરમ્યાન વધુ એક બાળકીએ આપઘાત કરી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application