જામનગર: નવાગામ ઘેડમાં યુવક પર છરીથી હિંચકારો હુમલો
ઉછીના રૂપિયાની ઉઘરાણીના મામલે શખ્સ વિફર્યો : ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક યુવક પર છરીથી જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવાગામ ઘેડના આરોગ્ય કેન્દ્ર પાસે રહેતા સચીન કિશોરભાઈ કંટીરાયા (ઉં.વ. ૨૭)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે આશરે દોઢ વર્ષ અગાઉ તેમના જ વિસ્તારના સુરેશ રમેશભાઈ મકવાણાને ૮૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. જેમાંથી આરોપીએ તબક્કાવાર ૨૦,૦૦૦ પરત આપ્યા હતા, જ્યારે બાકીના ૬૦,૦૦૦ બાકી હતા.
ગત ૧૪ જૂનના રોજ રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ફરિયાદી નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર પાસે બેઠા હતા ત્યારે સુરેશ મકવાણા ત્યાં આવ્યો હતો. ફરિયાદીએ બાકી રહેલા રૂપિયા અંગે વાત કરતાં આરોપીએ તારા રૂપીયા નથી દેવા થાય તે કરીલે તેમ કહી ઉશ્કેરાઇ જઇ છરી વડે ફરીયાદી સચિન પર હુમલો કરી પેટના ભાગે ઘા ઝીંકી દઇ જીવલેણ ઇજા પહોચાડી હતી લોહીલુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત સચીનભાઈને તેમના સગા અને મિત્ર દ્વારા તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર કરવામાં આવી હતી.
બનાવ અંગે પોલીસે સુરેશભાઈ રમેશભાઈ મકવાણા, રહે નવાગામ ઘેડ, જામનગર સામે ગાળો આપવી, ધમકી આપવી, જીવલેણ હુમલો કરવો તેમજ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.