દોઢીયાની નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જિત કરતી વેળાએ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ

  • September 13, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ખળખડનગર વિસ્તારના રહેવાસીઓ ગણપતિની મૂર્તિ વિસર્જિત કરવા ગયા હતા દરમિયાન દુર્ઘટના સર્જાઈ


જામનગર તાલુકાના દોઢીયા ગામમાં આવેલી નદીમાં ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતી વેળાએ એક યુવાન નદીના પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મૃત્યુ નીપજયું હતું, જેથી ભારે કરુણાંતિકા સર્જાઇ હતી.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખડખડ નગર વિસ્તારમાં રહેતો અને બાંધકામની મજૂરી કરતો જયેન્દ્રભાઈ ભાણજીભાઈ કટારીયા નામનો ૩૦ વર્ષનો કોળી જ્ઞાતિ નો યુવાન તેમજ અન્ય આસપાસના રહેવાસીઓ ગઈકાલે ખડખડ નગર વિસ્તારમાં સ્થાપિત કરાયેલી ભગવાન ગણેશજીની મૂર્તિ ને વિસર્જિત કરવા માટે જામનગર તાલુકાના લોઠીયા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરની પાસેની નદીમાં  ગયા હતા.


જ્યાં કેટલાક યુવાનો સહિતના પરિવારજનો ગણપતિની મૂર્તિ ને નદીના પાણીમાં વિસર્જિત કરવા માટે ઉતરતાં પાણી ઊંડું હોવાના કારણે જયેન્દ્ર કટારીયા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવને લઈને અન્ય લોકોમાં ભારે અફડા તફડી મચી ગઈ હતી, અને બુમાબુમ કરી મૂકી હતી. પરંતુ કોઈને તરતાં આવડતું ના હોવાથી જયેન્દ્રભાઈ ને બચાવી શક્યા ન હતા.


દરમિયાન આસપાસના ગ્રામજનો વગેરેને બોલાવીને નદીના પાણીમાં શોધખોળ કરતાં આખરે જયેન્દ્રભાઈ કટારીયા નો મૃતદેહ જ પાણીમાંથી બહાર આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેન્દ્રભાઈ ભાણજીભાઈ કટારીયાએ પોલીસની જાણ કરતા પંચકોશી  બી.ડીવીઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application