સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે
જામનગર અને દેવભૂમી દ્વારકા જિલ્લાની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ આગામી તા.૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ યોજાનાર છે. આ મતદાનના દિવસે શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરી શકે તે હેતુથી લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫(બી)ની જોગવાઇ અનુસાર જે તે વિસ્તારના કારખાના ધારા હેઠળ નોંધાયેલા કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓના બાંધકામ સાઇટ ઉપર કામ કરતાં શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી કે કર્મચારીઓના પગારમાંથી કોઇપણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં.રજાના કારણે જો શ્રમયોગી કે કર્મચારી પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં પણ જે તે વ્યકિતને રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોત તેટલો પગાર ચૂકવવાનો રહેશે.
વધુમાં જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ હોય તેવા કિસ્સામાં તેમજ સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ અને કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા આ જોગવાઇઓથી વિરુધ્ધનું વર્તન કરશે તો તેઓ કાયદા હેઠળ દંડ અથવા શિક્ષાને પાત્ર રહેશે, તેમ ડેપ્યુટી ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, જામનગરની યાદીમાં જણાવાયું છે.