જામનગર: આગામી તા.૨૨ જુલાઈના રોજ કાલાવડ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર તા.૨ જુલાઈ, સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.
જે અન્વયે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ જુલાઈના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કાલાવડ મામલતદારના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી, કાલાવડના મીટીંગ હોલમાં યોજવામાં આવશે અરજદારોએ આગામી તા.૧૫ જુલાઈ સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી કાલાવડ મામલતદાર અને એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટને પુરતાં પુરાવા સાથે મોકલી આપવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલાં કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલ હોય. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોય. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. કાલાવડ તાલુકાના સમગ્ર નાગરિકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા કાલાવડ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.