દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારોહ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ભારતની સંસ્કૃતિના આધારસ્તંભ સમા શ્રી રામ અને શ્રી કૃષ્ણના ગુણો અને સંસ્કારો માનવ હૃદય માટે હંમેશા પ્રકાશપુંજ સમાન રહ્યાં છે
ભારતની વિરાસત અને વિકાસ બન્નેને સાથે જોડી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના પ્રયાસો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાથ ધર્યા છે
શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવન પર આધારિત અદભુત મનહર માધવપુર મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો
"એક ભારત શ્રેષ્ઠ ભારત" ની ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ બન્યા સહભાગી
માધવપુર ઘેડ મેળાના પાંચમાં અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો.
આ સત્કાર સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જણાવ્યું હતું કે, ભારતની આ પવિત્ર ભૂમિ જ્યાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી પાવન ધરા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આજના આ પવિત્ર દિવસે મને શ્રીકૃષ્ણ અને રૂક્મણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જેનો મને ખૂબ જ આનંદ છે. ભારતની સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને શ્રી કૃષ્ણ મુખ્ય કેન્દ્ર રહ્યા છે. શ્રી કૃષ્ણએ ચરિત્ર, કર્મ ,ધર્મ, નીતિ, દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. તેમનું જીવન અને ઉપદેશ આપણા માટે પ્રેરણાદાયી છે.
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું કે, મહાભારતમાં શ્રીકૃષ્ણના જીવનના તથ્યો કે જે આપણા માટે પ્રેરણા આપે છે તે આપણે જાણવા જોઈએ. વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ માધવપુર મેળાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે. માધવપુર ઘેડ મેળો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરે છે.
વધુમાં રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, શ્રીકૃષ્ણનું મહાભારતમાં વર્ણન એટલું ઊંચું અને આદર્શપૂર્ણ છે કે તેને અપનાવીને માનવ દેવત્વ સુધી પહોંચી શકે છે. શ્રીકૃષ્ણએ રુકમણીજીને સન્માનપૂર્વક સ્વીકાર કરીને માધવપુરમાં વૈદિક પરંપરા અનુસાર વિવાહ કર્યા હતા જેના ઉપલક્ષમાં આજનો આ કાર્યક્રમ એ જ પવિત્ર વિવાહના સત્કાર રૂપે ઉજવવામાં આવે છે.
ગુજરાતની ધરતી પર જન્મેલા મહાન વિચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ શ્રીકૃષ્ણના જીવનને અત્યંત પવિત્ર ગણાવ્યું હતું. તેમજ શ્રીકૃષ્ણએ ગીતા જેવા મહાન ગ્રંથનો ઉપદેશ આપ્યો, જે આજે સમગ્ર વિશ્વમાં માનવજીવન માટે માર્ગદર્શક બન્યો છે. આપણે તેમના આદર્શોને જીવનમાં ગ્રહણ કરી આત્મિક વિકાસ કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળા રૂપે શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહની ઉજવણીની પરંપરા સ્થાનિક લોકો દ્વારા સચવાયેલી હતી. તેને વિશ્વ ફલક પર અંકિત કરવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું છે. માધવપુરનો મેળો ગુજરાતને દેશના ઉત્તરપૂર્વ વિસ્તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે. મેળા દ્વારા લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને આપણા વારસા, સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને પરંપરાગત ભોજન વિશે જ્ઞાન મેળવવાની તક મળે છે. મેળો પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. ગુજરાતના માધવપુરનો મેળો એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના ખરા અર્થમાં રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઈ રહ્યો છે.
વધુમાં ધારાસભ્યશ્રીએ કહ્યું કે, દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ રુકમણીને આવકારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માધવપુર મેળાને પાંચમાં અને અંતિમ દિવસે દ્વારકા ખાતે ઉજવવાનું નક્કી કરી માધવપુરના મેળાનું માહત્મ જાણવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગાંધવીથી દ્વારકા સુધી વિવિધ ગામોમાં નવદંપતિનું સ્વાગત કરવામાં આવે છે. શહેરમાં પણ ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા એકતા અને સમાવેશિતા સાથે નવદંપતિનું સ્વાગત કરવામાં આવે છે અને રુકમણી મંદિર સુધી શોભાયાત્રા યોજાય છે તેમજ દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીના જીવનકવન પર આધારિત "મનહર માધવપુર" નાટ્ય મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. ઉપરાંત, લોકગાયક શ્રી રાજેશ આહિર દ્વારા ભજનની સરવાણી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા તેમજ આભારવિધિ અધિક કલેકટર અને ખાસ ફરજ પરના અધિકારી સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ એ.યુ.મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.