તારા પતિને ઓળખું છું, મહારાષ્ટ્ર જઈએ છીએ કહી પાલીતાણાથી મહારાષ્ટ્ર જતી પરિણીતા પર સુરતમાં બે શખ્સે દુષ્કર્મ આચર્યું

  • March 21, 2025 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલિતાણાથી મહારાષ્ટ્રના  અમરાવતી જવા નીકળેલી પરિણીતાને "હું તારા પતિને સારી રીતે ઓળખું છું અને અમે પણ મહારાષ્ટ્ર જઇએ છે તને અમરાવતી મુકી દઇશું" એમ કહી અમદાવાદથી ગાડીમાં બેસાડી સુરતના ઉધના સ્ટેશને ઉતાર્યા બાદ મોટા વરાછાના ચીકુવાડી વિસ્તારમાં લઇ જઇ માર મારી લૂંટી લીધા બાદ તેની સાથે  દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અન્ય એક શખ્સે  પણ પરણિતાને પોતાની હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ ઉત્રાણ પોલીસના ચોપડે નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ બાદ પરિણીતાને તેના ૪ વર્ષના પુત્રની સામે પીંખી નાંખનાર ગારિયાધાર તાલુકાના મોરબા ગામના શખ્સ સહિત બંનેની ધરપકડ કરી હતી.


પાલિતાણામાં રહેતા શ્રમિક પરિવારની ૩૭વર્ષીય પરણિતા  પોતાના પુત્ર સાથે મહારાષ્ટ્રના  અમરાવતી જવા બસમાં બેસી અમદાવાદ પહોંચી હતી. અમદાવાદ સ્ટેશન ખાતે પરણિતાને હરેશ નામનો શખ્સ મળ્યો હતો. જેની સાથે   ચારથી પાંચ બાળકો અને એક મહિલા હતી. હરેશે પરણિતાને કહ્યું હતું કે "હું તારા પતિને સારી રીતે ઓળખું છું અમે પણ મહારાષ્ટ્ર જઇએ છે, તને અમરાવતી જવામાં મદદ કરીશું." જેથી પરણિતાએ  તૈયારી દર્શાવતા  અમદાવાદથી ગાડીમાં  બેઠા હતા.


અને  સુરતના  ઉધના સ્ટેશન ખાતે  ગાડી રોકાઈ ત્યારે નાસ્તો કરવાના બહાને પરણિતા  અને તેના પુત્રને ઉતરવાનું કહ્યું હતું. દરમ્યાનમાં ગાડી  ઉપડી જતા હરેશ પરણિતા  અને તેના પુત્રને મોટા વરાછા ચીકુવાડીના  ઓવર બ્રિજ નીચે લઇ ગયો હતો. જયાં પરણિતાએ  તમે મને મહારાષ્ટ્ર-અમરાવતી જવામાં મદદ કરવાના હતા પરંતુ આ કયાં લઇ આવ્યા છો એવું પુછતા હરેશે તું અહીં 


ફૂટપાથ ઉપર બેસ, હું મારી પત્ની અને બાળકોને મુકીને આવું છું એમ કહીને ગયા બાદ એકાદ કલાકમાં પરત આવ્યો હતો. આ અરસામાં અંધારૂ થઇ ગયું હોવાનો ગેરલાભ લઇ હરેશે પરણિતાને  માર મારી મોબાઇલ  અને રોકડા રૂ. ૩, ૫૦૦ લૂંટી લીધા હતા. અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું  હતું. પતિને ઓળખે છે અને મદદ કરવાનું કહેનાર નરાધમના રાક્ષસી કૃત્યથી પરણિતા  ચોંકી ગઇ હતી. અને ડરના માર્યા પુત્ર સાથે ફૂટપાથ પર જ  બેસી રહી હતી. 


હરેશના કૃત્યથી સમસમી ગયેલી પરણિતા  ધ્રુજી રહી હતી ત્યાં જ  શંકર નામના શખ્સે   તેને અવાવરૂ જગ્યા ઉપર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.  એક પછી એક પોતાની સાથે થયેલા હેવાનિયત ભર્યા કૃત્યથી પરણિતા  હચમચી ગઇ હતી. જો કે બીજા દિવસે પુન: હરેશે  દુષ્કર્મ આચર્યું  હતું અને તેના બે કલાક બાદ શંકરે પણ પુન: તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.  પોતાની સાથે બનેલી ઘટનાથી પરણિતા  થરથર ધ્રુજી રહી હતી ત્યારે એક રાહદારીની નજર પડતા તેની હાલત જોઇ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. 

જેને પગલે ઉત્રાણ પોલીસ દોડી ગઇ હતી અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જતા ત્યાં તબીબની  પૂછપરછમાં એક પછી એક એટલે કે પોતાની સાથે બનેલી ઘટના નો  ઘટસ્ફોટ કર્યો હતો. જેના પગલે પોલીસે પરણિતાની ફરિયાદ લઈ   હરેશ ઉર્ફે મીઠયો મહેશ વાઘેલા (ઉ.વ. ૨૫, રહે. મનિષા ગરનાળા નજીક ફૂટપાથ ઉપર, મોટા વરાછા  મૂળ. મોરબા,  તા.ગારિયાધાર,જી. ભાવનગર) અને શંકર ઉર્ફે શંકર ટકલા ધનુબાલી નાહક (ઉ.વ. ૩૦ રહે. રાધે રેસીડન્સી નજીક ફૂટપાથ ઉપર, મોટા વરાછા અને મૂળ. અલખાપુરા, ગંજામ, ઓડિશા) ની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application