જામનગર નજીક જુદા જુદા વાહન અકસ્માતમાં બે વ્યકિતના મોત
જામનગર-રાજકોટ હાઇવે જાંબુડા પાટીયા પાસે ફોરવ્હીલ ગાડીએ મોટરસાયકલને ઠોકર મારતા પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું, જયારે પાંચ દિવસ પહેલા રાત્રીના સુમારે દરેડ નીલગીરી ગોળાઇ રોડ પર ચાલીને જઇ રહેલા યુવાનને અજાણ્યા વાહને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું, બંને બનાવમાં વાહનચાલકો સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના જહાજપુરના વતની અને હાલ પ્રતાપ નારાયણીનગર ખાતે રહેતા ભરતસિંહ ભેસિંહ રાજપુત (ઉ.વ.૪૮)એ ગઇકાલે પંચ-એમાં લાલ કલરની ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦એસી-૨૨૯૦ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના ભાઇ ભવાનીસિંહ ભેસિંહ રાજપુત (ઉ.વ.૪૯) ગત તા. ૨૧ના સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦ઇબી-૦૬૬૨ લઇને રાજકોટ-જામનગર હાઇવે જાંબુડા પાટીયા પાસે સિઘ્ધનાથ હોટલથી ચા પીને પરત શ્રીજી રોડલાઇન્સની ઓફીસે જતા હતા.
દરમ્યાન જામનગર તરફથી આવી રહેલ ઉપરોકત નંબરની લાલ કલરની ફોરવ્હીલ ગાડીના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના ભાઇને ઠોકર મારી નીચે પછાડી દઇ શરીરે નાની-મોટી ઇજા અને માથાની પાછળના ભાગે ગંભીર ઇજા કરી તેમનું મોત નિપજાવ્યુ હતું.
આ ફરીયાદના આધારે પંચ-એ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બીજા બનાવમાં યુપીના આંબેડકરનગર જીલ્લાના હજપુરા ગામના વતની લક્ષ્મીબેન બાબુરામ રાજભર (ઉ.વ.૧૯) નામની યુવતિએ ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૮-૧-૨૬ રાત્રીના ૧૧-૩૦ના સુમારે લાલપુર ચોકડીથી દરેડ ખાતે આવેલ નીલગીરીની ગોળાઇના રોડ પર અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રસ્તાની બાજુમાં ચાલીને જઇ રહેલા ફરીયાદીના પિતા બાબુરામ (ઉ.વ.૪૦)ને પાછળથી હડફેટે લઇ વાહન ચડાવી દઇ માથા અને શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું, આ ફરીયાદના આધારે પંચ-બીના પીએસઆઇ મઠીયા તપાસ ચલાવી રહયા છે.