જામનગરમાં વકીલ પર હુમલો કરવાના કેસમાં બે આરોપીને સાત-સાત વર્ષની સજા
૨૫ હજાર વળતર પેટે ચુકવી આપવાનો અદાલતી આદેશ
જામનગરના એક વકીલ ઉપર ચારેક વર્ષ પહેલા બે શખ્સોએ છરીથી હુમલો કરી આ યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં અદાલતે બંને આરોપીને સાત-સાત વર્ષની સજાનો હુકમ કર્યો છે અને રપ-રપ હજાર ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો પણ આદેશ કર્યો છે.
જામનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા કલ્પેશ ફલીયા નામના યુવાન પર વર્ષ ૨૦૨૨માં નવરાત્રિના સમય દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થયા પછી પ્રકાશ કિશોરભાઈ મોખરા ઉર્ફે લાલા તથા ઈરફાન ઈકબાલ ઘોયલ નામના બે શખ્સે છરી થી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશ ફલીયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જે તે સમયે પોલીસે જાનથી મારી નાખવાની કોશિષનો ગુન્હો નોંધ્યો હતો. બંને શખ્સ સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ચાલી જતાં અદાલતે મૂળ ફરિયાદીના વકીલ નિતલ એમ. ધ્રુવ તથા સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રકાશ ઉર્ફે લાલા કિશોરભાઈ મોખરા તથા ઈરફાન ઈકબાલભાઈ ઘોયલ ને તકસીરવાન ઠરાવી સાત-સાત વર્ષની કેદની સજા ફટકારી છે અને રૂ. રપ-રપ હજાર નો દંડ ભરવા તેમજ આ રકમ ફરિયાદી કલ્પેશભાઈને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.