જામનગરમાં બ્રાસ સ્ક્રેપના બાકી રૂપીયાની ઉઘરાણીના મામલે વેપારીને માર માર્યો
૨૨ કોરા ચેકો લઇ લીધા : છોકરાઓને ઉપાડી જવાની ધાક ધમકી આપી : ૮ શખ્સ સામે ફરીયાદ
જામનગરના કૈલાશનગર વિસ્તારમાં રહેતા ભંગારના કમિશનના વેપારીએ અલગ અલગ વેપારી પાસેથી બ્રાસ ભંગારનો માલ લીધો હતો જે પૈકીની થોડી રકમ ચુકવી હતી દરમ્યાનમાં રૂપીયાની ઉઘરાણી કરીને ઢીકાપાટુનો માર મારી ધાક ધમકી આપ્યાની આઠ શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.
શહેરના કૈલાશનગર શેરી નં. ૫માં રહેતા વેપારી નરેશ વિરજીભાઇ મેંદપરા (ઉ.વ.૪૩) એ થોડા મહિના પહેલા વિશાલ, નિલેશ તથા સુભાષ પાસેથી રૂ. ૬૫ લાખ ભંગારનો માલ લીધેલ હતો તેમજ ચેતન તથા સાગર પાસેથી ૩૦ લાખનો ભંગારનો માલ લીધેલ હતો. જે પૈકી કુલ ૧૦ લાખ વિશાલ અને જયદીપને આપેલ હતા તેમ છતા આરોપીઓ ભેગા મળીને ફરીયાદી નરેશભાઇ પાસેથી અવાર નવાર રૂપીયાની ઉઘરાણી કરતા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
ફરીયાદી પાસેથી અવાર નવાર બાકી રૂપીયાની ઉઘરાણી કરી તેની પાસેથી કુલ ૨૨ કોરા ચેકો તેમજ ફરીયાદીની પત્નીના સહીવાળા બળજબરીપુર્વક ભયમાં મુકીને લઇ ગયા હતા તેમજ જો રૂપીયા ન આપે તો ફરીયાદીના છોકરાઓને ઉપાડી જવાની ધાક ધમકીઓ આપી હતી. ઉપરાંત એક શખ્સે સીસીટીવી કેમેરો તોડી નુકસાન કરી એકબીજાને મદદ કરી હતી.
દરમ્યાનમાં મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો જયાં ઉપરોકત વિગતોના આધારે નરેશભાઇ મેંદપરા દ્વારા સીટી-સી ડીવીઝનમાં જામનગરના વિશાલ લગારીયા, નિલેશ ડાંગર, સુભાષ રાવલીયા, સાગર કંડોરીયા, ચેતન રાવલીયા, જયદીપ લગારીયા, દીવુભા અને સાગર નામના આઠ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા આ અંગેની તપાસ પીઆઇ ડાભી ચલાવી રહયા છે.