ઘોર બેદરકારી: દ્વારકામાં તૂટેલા બોર્ડ અને જોખમી મોજા વચ્ચે પ્રવાસીઓના જીવ જોખમમાં
દ્વારકાના દરિયાકિનારે પ્રવાસીઓની સુરક્ષાને લઈને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન દ્વારકામાં સુરક્ષા માટે મુકાયેલા ચેતવણી બોર્ડ જ રામભરોસે જોવા મળી રહ્યા છે.
દરિયાકિનારે પ્રવાસીઓને સાવચેત કરવા માટે લગાવવામાં આવેલા સ્નાન કરવાની મનાઈ છે - તેવા બોર્ડ હાલ સાઈડમાં તૂટેલી-ફૂટેલી હાલતમાં જમીન પર પડ્યા છે. યોગ્ય રીતે ડિસ્પ્લે ન હોવાને કારણે પ્રવાસીઓનું ધ્યાન તેના પર જતું નથી. જ્યારે બોર્ડની દુર્દશા અને તંત્રની ઢીલી નીતિને કારણે પ્રવાસીઓ બેરોકટોક દરિયાના ઉંડા અને જોખમી પાણીમાં ઉતરી રહ્યા છે. લાઈટહાઉસ પાસેના કિનારે ઉછળતા મોજાઓની વચ્ચે લોકો જીવના જોખમે નાહતા જોવા મળ્યા હતા.
ઉપરાંત જોખમી ટેટ્રાપોડ્સ અને પથ્થરો હોવા છતાં લોકો ત્યાં સુધી પહોંચી રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે દ્વારકા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ બોર્ડનું સમારકામ કરવામાં આવે અને તેને યોગ્ય જગ્યાએ લગાવવામાં આવે જેથી પ્રવાસીઓ સાવચેત રહે. માત્ર બોર્ડ મારી દેવાથી જવાબદારી પુરી થતી નથી, તેનું પાલન થાય તે જોવું પણ એટલું જ જરૂરી છે.