રાજ્યમાં પાણી પુરવઠા માટેના વિકાસલક્ષી કામો માટે 6242 કરોડની ફાળવણી 

  • February 02, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આદિજાતિ વિસ્તારના ૫૦૬૨ ગામોને સરફેસ સોર્સ આધારિત જુથ યોજનાઓનો મળશે લાભ ; સારી ગુણવત્તાના સરફેસ વોટર મળતા લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થયો : કનુ દેસાઈ 



ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું છે. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ૩.૩૨ લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે. બજેટમાં સૌથી વધુ પ્રાધાન્ય યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને અપાયું છે. બજેટમાં પાણી પુરવઠા પ્રભાગ માટે ૬૨૪૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે અને જળસંપત્તિ પ્રભાગ માટે ૧૧,૫૩૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજયના અંતરિયાળ વિસ્તારથી માંડી શહેરી વિસ્તારોની જળસુરક્ષા માટે નિયમિત ધોરણે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા શરૂ કરેલ વોટરગ્રીડના સારા પરિણામો મળ્યા છે. સારી ગુણવત્તાના સરફેસ વોટર મળતા  લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીના માળાખાને સુદ્રઢ કરવા અને કેનાલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે ઢાંકાથી માળીયા સુધી બીજી સમાંતર પાઇપલાઇન ૧૨૦૦ કરોડના ખર્ચે નાખવાની યોજના હાથ ધરવાની નાણામંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે.  
​​​​​​​

નાણામંત્રી કનું દેસાઈએ બજેટ સેશન દરમિયાન જણાવ્યું હત કે, આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૫૦૬૨ ગામોને સરફેસ સોર્સ આધારિત જુથ યોજનાઓમાં આવરી લેતી અંદાજિત ૬૫૦૦ કરોડની સુધારણા તથા નવીન જુથ યોજનાના કામો પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૧૧૨૨ કરોડની જોગવાઇ કરાઈ છે, જેમાં ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જુથ પાણી પુરવઠા યોજના અંદાજિત ૮૬૬ કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ૨૩ ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઈપ લાઈન આધારીત ધરમપુર જૂથ પાણીપુરવઠા યોજના પેકેજ-૨ નું અંદાજિત ૧૦૭ કરોડના ખર્ચે નિર્માણ કરવાનું આયોજન છે.

ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રીંકલર સિસ્ટમ વસાવવા માટે સહાય આપવા ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની હેઠળ ૨૫૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે. ભારત સરકાર સહાયિત ૭૫૦ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇ માટે સહાય આપવા સરકારે ૨૦૦ કરોડની જોગવાઇ કરી છે. જળ સંપત્તિ વિભાગ હેઠળની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે ૪૦૩ કરોડની જોગવાઇ કરાઇ છે.


સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ૮૫ કિ.મી. લાંબી બલ્ક પાઇપલાઇનનું કામકાજ  પૂર્ણતાના આરે : નાણામંત્રી 

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલ્લભીપુર નર્મદા બ્રાંચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ચાવંડ-ધરાઇ-ભેંસાણ અને ચાવંડ-લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, આ આયોજન અંતર્ગત બોટાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડાથી ચાવંડ સુધીની ૮૫ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૬૪૪ કરોડના કામો પૂર્ણતાના આરે છે અને અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની ૯૭ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જુનાગઢ જિલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની ૬૩ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે. ઉપરાંત ઢાંકીથી માળીયા સુધીની નવીન ૧૨૦ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૧૨૦૦ કરોડના કામોનું આયોજન કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application