સિતારા જામનગરની જમીન પર: આજે વનતારામાં થશે જમાવટ
આજે અનંત અંબાણીના જન્મ દિનની ધમાકેદાર ઉજવણી: આખો અંબાણી પરિવાર હાજરી આપશે
કિંગ શાહરૂખખાન, સલમાનખાન, ધુરંધર રણબીરસિંઘ, સાઉથના સુપર સ્ટાર રામચરણ, રિતેશ, જેનેલીયા, બોની કપુર, અનન્યા પાંડે જેવી બોલીવુડની હસ્તીઓ એરપોર્ટ પર ઉતરી
અંબાણી પરિવારના ચહીતા ઓરીનું પણ આગમન: મુંબઇ ઇન્ડીયન્સના ખેલાડીઓ આવે એવી પણ સંભાવના: જોગવડમાં ભવ્ય ડાયરો
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નિતા અંબાણીના લાડલા દિકરા અનંત અંબાણીનો આજે જન્મ દિન છે, ત્યારે ગઇકાલથી જ બોલીવુડના સીતારાઓના આગમન શરૂ થઇ ગયા છે, સૌપ્રથમ સંગીતકાર એ.આર. રહેમાનના આવ્યા બાદ બુધવારે સાંજે દિગ્ગજ સ્ટાર જામનગરના વિમાની મથકે ઉતરીને રીલાયન્સના વનતારા જવા રવાના થયા હતાં, ચાહકો જોવા માટે ઉમટ્યા હતાં.
અનંત અંબાણીના જન્મ દિનની વધુ એક યાદગાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે ગુરૂવારે રાત્રે યાદગાર જલ્સો રીલાયન્સની અંદર થવાનો છે અને તેમાં હાજરી આપવા માટે સ્ટારોનો કાફલો જામનગર આવ્યો છે.
બુધવારે સાંજે પહેલા ધુરંધર ફિલ્મ ફેઇમ રણબીરસિંઘનું આગમન થયું હતું, બ્લેક ટ્રાઉઝર અને વ્હાઇટ શર્ટમાં એન્ટ્રી થઇ હતી, વિમાની મથકે ઉતર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, અગાઉથી જ તૈયાર રીલાયન્સની ટીમ કારમાં બેસાડીને વનતારા તરફ લઇ ગઇ હતી.
થોડીવાર પછી બોલીવુડના કિંગ શાહરૂખખાન પત્નિ ગૌરીખાન અને પુત્ર અબ્રાહમ સાથે જામનગરના વિમાની મથકની બહાર નિકળ્યા હતાં, રીલાયન્સની ટીમ દ્વારા ખાન પરિવારને કોર્ડન કરીને કાર સુધી લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કાફલો પણ વનતારા તરફ રવાના થઇ ગયો હતો, સાથે સાથે બોલીવુડના જાણીતા ડાયરેકટર બોની કપુર અને અંબાણી પરિવારના ચહીતા ગણાતા ઓરીનું પણ આગમન થયું હતું.
રાત્રે પણ ચાર્ટર્ડ ફલાઇટો આવવાની ચાલુ રહી હતી અને વધુ સિતારાઓ વિમાની મથકે ઉતર્યા હતા જેમાં બોલીવુડના ભાઇજાન સલમાનખાન, સાઉથના સુપર સ્ટાર રામચરણ, રિતેશ દેશમુખ, પત્ની જેનેલીયા, સલમાન ખાનનાં બનેવી આયુષ શર્મા, અર્પિતા, વગેરે આવ્યા હતા. પંજાબી સિંગર સુખબીરસિંઘનું પણ આગમન થયુ હતું.
રિલાયન્સમાં જયારે પણ ઉજવણી થાય છે ત્યારે બોલીવુડના મોટા સ્ટાર આવી પહોંચે છે, બની શકે દીપીકા પાદુકોણ, જહાન્વી કપુર, જેવી અદાકારાઓ પણ આવી શકે છે. અને આજ રાતની ઉજવણી ખુબ જ યાદગાર બની શકે છે. આવતીકાલે અનંત અંબાણીનો જન્મદિન છે.
નીતા અંબાણી, ઇશા અંબાણીનું આગમન થઇ ગયું છે. સ્વાભાવિક રીતે બાબાના જન્મદિનમાં મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્ર્લોકા અંબાણી સહિતનો આખો પરિવાર જોડાશે અને વનતારામાં વધુ એક વખત એક યાદગાર જશ્ન થશે.
સુત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે બુધવારની રાત સુધીમાં અને ગુવારે સવારે પણ હજુ કેટલાક બોલીવુડ સ્ટાર રીલાયન્સના મહેમાન બનતા જામનગરના વિમાની મથકે ઉતરી શકે છે, સલમાનખાન, જહાન્વી કપુર અને અનંત અંબાણીના બોલીવુડના નજીકના મિત્રો આવે એવું માનવામાં આવે છે.
સુત્રો એવું પણ જણાવે છે કે આગામી બે દિવસ દરમ્યાન આઇપીએલ રમી રહેલી મુંબઇ ઇન્ડીયન્સની ટીમનો જો મેચ નહિં હોય તો ગુવારે રોહિત શર્મા, હાર્દિક પંડયા સહિતની મુંબઇ ઇન્ડીયન્સ ટીમના કેટલાક ખેલાડીઓ પણ અનંત અંબાણીના જન્મદિનની ઉજવણીમાં જોડાવવા માટે આવી શકે છે.
એક તરફ રીલાયન્સના વનતારા ખાતે અનંત અંબાણી એટલે કે ‘બાબા’ના જન્મ દિનની ઉજવણી થવાની છે, તો બીજી તરફ રીફાઇનરીની આસપાસના ગામડાઓમાં પણ જુદા જુદા કાર્યક્રમો યોજાવાના છે, જેમાં જોગવડ ખાતેના લોક ડાયરાનો પણ સમાવેશ છે.
રીલાયન્સના અનંત અંબાણીનો ૧૦મી એપ્રિલના રોજ ૩૧મો જન્મદિવસ હોય આ નિમિતે જોગવડ ખાતે તેમના જન્મદિવસની પુર્વે તા.૯-૪-૨૬ ગુવારના રોજ ભવ્ય લોકડાયરો રંગારંગ સાંજ રાત્રે ૯.૩૦ વાગ્યે રાખવામાં આવેલ છે. યુવા ઉધોગપતિ, પ્રકૃતિપ્રેમી અનંત અંબાણી દર વર્ષે જન્મદિવસ નિમિતે અનેકાનેક ધાર્મિક કાર્યો તેમજ સેવાકીય કાર્યો દ્વારા અનોખા અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જોગવડ ખાતે ચેટર્જી બીલ્ડીંગ સામે ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ લોકડાયરામાં રાજભા ગઢવી, સાંઇરામ દવે, દેવાંગી પટેલ, વિમલ મહેતા સહિતના કલાકારો શ્રોતાજનોને લોક સાહિત્ય, હાસ્યરસ અને ગીતસંગીતથી રસતરબોળ કરશે અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે અનંત અંબાણીના જન્મદિવસે તેઓએ રીલાયન્સથી પદયાત્રા કરીને જન્મદિવસે દ્વારકા ઠાકોરજીને શિષ જુકાવીને આર્શિવાદ મેળવ્યા હતા ત્યારે અંબાણી પરીવાર પણ સાથે ઉપસ્થિત રહ્યો હતો.