કાલાવડ શહેરમાં બંધ પંચરની કેબીનમાં અચાનક લાગી આગ
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ, જાનહાનિ ટળી
કાલાવડ શહેરમાંથી આગ લાગવાની એક ઘટના સામે આવી છે, જેમાં ધોરાજી રોડ પર આવેલ આર. કે. સીરામીકની સામે પંચરની એક બંધ કેબીનમાં અચાનક જ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. બંધ કેબીનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના અંગે તાત્કાલિક કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સહેજ પણ સમય બગાડ્યા વિના તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેથી સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.