↵
જામનગર આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખે મહિલા અનામત બીલને ગણાવ્યુ ક્રાંતિકારી પગલું
પત્રકાર પરિષદમાં સાંસદ, મંત્રી, ધારાસભ્યો, શહેર સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા: જામનગર વિશે કાંઇ મહત્વનું બોલ્યા નહિ
આજે જામનગરની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્ર્વકર્માએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩માં સંસદના બન્ને ગૃહમાં નારીશકિત વંદના અધિનિયમ બીલ પસાર થયુ છે જે ગુજરાત સહિત દેશભરમાં મહિલા સશકિતકરણ માટે ક્રાંતિકારી પગલુ છે. આગામી ૧૬ એપ્રિલના રોજ સંસદમાં મહત્વપુર્ણ અને ઐતિહાસિક બેઠક મળવાની છે ત્યારે અમો પુર્ણપણે સમર્થન આપીએ છીએ. આ તકે સાંસદ, મંત્રી, ધારાસભ્યો, સંગઠનના હોદેદારો વિગેરે આ તકે ઉપસ્થિત રહ્યા હતા.
ગઇકાલે મળેલા સંદેશ મુજબ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સવારે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા પત્રકારોને મળ્યા હતા અને વાતચીત દરમ્યાન ખાસ કરીને મહિલા અનામત ખરડાને અત્યંત મહત્વનું ગણાવ્યું હતું સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓના સશકિતકરણ માટે આ એક ક્રાંતિકારી પગલુ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લેવામાં આવ્યુ છે. આ અધિનિયમને કારણે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત મળ્યું છે આટલુ જ નહિ આગામી ૧૬ એપ્રિલના સંસદમાં મળનારી મહત્વપુર્ણ બેઠકમાં આ અધિનિયમ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે જે નારી સશકિતકરણ માટે મહત્વનું પગલુ પુરવાર થશે તેવી આશા છે. ભારતની સનાતન સંસ્કૃતિમાં પણ નારી શકિત ઉપાસનાનું ખાસ મહત્વ દર્શાવાયુ છે ત્યારે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં પ્રગતિ પંથ કે જેના ગરીબ, યુવા, નારીશકિત, ચાર મુખ્ય સ્તંભ છે મહિલાઓ માટે જુદી જુદી યોજનાઓ તથા નારીવંદના અધિનિયમને કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. આટલુ જ નહિ વર્તમાન સમયમાં અવકાશથી ખેલ કુદ તથા અન્ય તમામ ક્ષેત્રમાં મહિલાઓ ઝડપભેર આગળવધી છે અને આર્થિક રીતે સશકત બની છે ત્યારે નારીશકિત વંદન અધિનિયમ માટે તા.૧૬ એપ્રિલના સંસદના વિશેષ સત્રમાં થનારા આ અવસરને વધાવી લઇએ તેમ જણાવ્યું હતું.
આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખની સાથે સાંસદ પુનમબેન માડમ, રાજયકક્ષાનાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી, પૂર્વ મંત્રી રાઘવજી પટેલ, શહેર સંગઠનના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર ઉપસ્થિત રહ્યા હતા. ટુંકી વાતચીત બાદ પ્રદેશ પ્રમુખનો કાફલો રવાના થયો હતો.
પ્રદેશ પ્રમુખ ગઇકાલે રાજકોટમાં ડેમેજ કંટ્રોલ માટે ગયા હતા દરમ્યાનમાં આજે જામનગરની મુલાકાત લીધી હોવાથી એવી અટકળો લગાવવામાં આવતી હતી કે જગદીશભાઇ વિશ્ર્વકર્મા જામનગર મહાનગરપાલિકાની ચુંટણી અને તાલુકા પંચાયતોની ચુંટણીને લઇને કોઇ મહત્વની વાત કરશે પરંતુ એમણે વિશેષ મુદે મહિલા અનામત ખરડા અંગે ચર્ચા કરી હતી. આજે બપોરે ઓસવાળ સેન્ટર ખાતે પ્રદેશ પ્રમુખ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓને સભામાં સંબોધન કરીને માર્ગદર્શન આપવાના છે.