દ્વારકામાં ગોપી તળાવ-ઓખા માર્ગનું રિસરફેસિંગ પૂર્ણ
પ્રવાસીઓ અને સ્થાનિકોને મળશે વધુ સુવિધા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત દ્વારકા ગોપી તળાવ નાગેશ્વર ઓખાને જોડતા મુખ્ય માર્ગનું રિસરફેસિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. અંદાજે ૨૧ કિલોમીટર લાંબા આ માર્ગના સમારકામથી હવે વાહનચાલકોને વધુ સરળ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.
આ માર્ગ યાત્રાધામ દ્વારકા, ગોપી તળાવ, નાગેશ્વર મહાદેવ અને ઓખા જેવા મહત્વના ધાર્મિક તથા પ્રવાસન સ્થળોને જોડતો હોવાથી વર્ષભર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. માર્ગના નવીનીકરણ બાદ મુસાફરીનો સમય ઘટશે તેમજ વાહનવ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગોની ગુણવત્તા સુધારવા અને પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દ્વારકાગોપી તળાવઓખા માર્ગનું સમારકામ પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ યાત્રાળુઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. આ કામગીરીથી જિલ્લાના પ્રવાસન વિકાસને પણ નવી ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.