જામનગરને મળ્યો પ્રગતિનો નવો ટ્રેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.૨૫૭ કરોડના ખર્ચે “કાનાલુસ- જામનગર રેલખંડ ડબલિંગ” પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું
જામનગર રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા ઉજવણી કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે તેઓએ વાવ-થરાદ ખાતેથી ૧૯,૮૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેંટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે પૈકી રૂ.૯૦૦ કરોડના ખર્ચે રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જેમાંથી રૂ.૨૫૭ કરોડના ખર્ચે ૨૭ કિલોમીટરની કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનાલુસ–જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ સહિત રેલવેના અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુજરાત સહિત દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે. જે જામનગર માટે પણ ગૌરવની વાત છે.
કાનાલુસ–જામનગર રેલવે ટ્રેક ડબલિંગ થવાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે, મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે તેમજ ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણે વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે.
કનેક્ટિવિટી મજબૂત હોય તો છેવાડાના વિસ્તાર સુધી વિકાસ શક્ય છે.ડબલિંગ લાઈન માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ વિકાસ, ઝડપી પરિવહન અને નવી તકોનું પ્રતિક છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ-થરાદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રાજકોટ ડિવિઝનના ડીઆરએમશ્રી ગિરિરાજ મીના, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખઓ, મહામંત્રીઓ, રાજકોટ ડિવિઝન તથા જામનગર રેલવે વિભાગના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ તથા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.