માજી સૈનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે જામનગર ખાતે બ્રિગેડ કમાન્ડરની હકારાત્મક ખાતરી
31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડ, જામનગર ખાતે બ્રિગેડ કમાન્ડર સાથે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, જામનગરના પ્રતિનિધિમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જામનગર જિલ્લાના માજી સૈનિકો, વીર નારીઓ તથા તેમના આશ્રિતોને પડતી વિવિધ સમસ્યાઓ અને કલ્યાણલક્ષી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રતિનિધિમંડળ દ્વારા CSD સ્માર્ટ કાર્ડ રિન્યૂઅલ પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવી, ECHS હેઠળ મળતી આરોગ્ય સેવાઓમાં સુધારો, CSD લિકર વિતરણ વ્યવસ્થામાં રહેલી સમસ્યાઓનું નિરાકરણ, વાર્ષિક માજી સૈનિકો ની રેલી/સંમેલન નું નિયમિત આયોજન તેમજ માજી સૈનિકોના અન્ય વિવિધ કલ્યાણલક્ષી પ્રશ્નો બ્રિગેડ કમાન્ડર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
બ્રિગેડ કમાન્ડર સાહેબે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી દરેક મુદ્દા પર હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. તેમણે સંબંધિત વિભાગો સાથે જરૂરી સંકલન કરીને રજૂ થયેલા પ્રશ્નોના ત્વરિત અને યોગ્ય નિરાકરણ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા, સલાહકાર હરદેવસિંહ જાડેજા તથા ગુલાબરાય ઉનડકટ દ્વારા બ્રિગેડ કમાન્ડર સાહેબને શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા બ્રિગેડ કમાન્ડર સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંડળે જણાવ્યું હતું કે ભારતીય સેના દ્વારા માજી સૈનિકોના પ્રશ્નો પ્રત્યે દાખવવામાં આવતો સંવેદનશીલ અને સહયોગી અભિગમ પ્રશંસનીય છે. બેઠકમાં રજૂ થયેલા તમામ મુદ્દાઓ અંગે ભવિષ્યમાં થનારી પ્રગતિ અને લેવામાં આવનારા નિર્ણયો અંગે મંડળના હોદ્દેદારો અને સભ્યોને સમયસર માહિતગાર કરવામાં આવશે