જામનગર જિલ્લામાં આગાહી મુજબ વરસાદ ન વરસતા લોકો ચિંતિત
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તા.૧૨ જુલાઇ સુધી મેઘરાજા વરસી શકે છે: આજે પણ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયુ વાતાવરણ
જામનગર શહેર અને જિલ્લામાં હવામાન ખાતાની આગાહીની કોઇ અસર થઇ નથી, તા.૭ જુલાઇ અને તા.૧૨ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે પરંતુ બે દિવસ થયા વરસાદ ન વરસતા લોકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જામનગર ઉપરાંત ગામડાઓમાં આજ સવારે વાદળીયુ વાતાવરણ જોવા મળ્યુ છે અને લોકો વરસાદ આવે તેવી ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.
કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૪ લઘુતમ તાપમાન ૨૮, હવામાં ભેજ ૭૯, પવનની ગતિ ૨૦ થી ૨૫ પ્રતિ કિ.મી.ની ઝડપે જોવા મળી છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, લાલપુર, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, દ્વારકા, ફલ્લા, જામરાવલ, ભાટીયા, સહિતના ગામોમાં પણ વાદળા સાથે તડકો છાયો જોવા મળ્યો છે. ભેજ વધુ હોવાને કારણે બફારો વઘ્યો છે.
હવામાન ખાતાએ તો આગાહી કરી છે પાંચ દિવસ સુધી ધોધમાર વરસશે અને નદીમાં પુર આવશે પરંતુ બે દિવસ થઇ ગયા આગાહીની ગામડાઓમાં કોઇ અસર થઇ નથી. તે પણ હકીકત છે, કેટલાક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઇ રહીછે. લગભગ સવા મહિનો વરસાદ ખેંચાયો છે તેથી વાવણી કાર્ય મોડુ શરૂ થશે ગામડાઓમાં મોટા ભાગના જળાશયોમાં પાણીની કોઇ નોંધપાત્ર આવક થઇ નથી, સૌરાષ્ટ્રમાં તંત્રને હવામાન ખાતાએ એલર્ટ કર્યુ છે તેથી લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે.