જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની સજા
૨૦૧૩માં દારૂનો કેસ નહી કરવા લાંચ માંગી હતી : સેશન્સ કોર્ટનો ચુકાદો
જામજોધપુર પંથકમાં દારૂ નો કેસ નહિ કરવા બાબતે લાંચમાં ઝડપાયેલા બે પોલીસ કર્મચારી ને એક વર્ષની કેદની સજાનો અદાલતે આદેશ કર્યો છે. આ કેસ થી બચવા માટે લાંચ ના પૈસા નહિ પરંતુ વાહન મરામત ના ગેરેજ વાળાના પૈસા આવવાના હોવાનું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી વકીલને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને સજાનો હુકમ થયો છે.
જામજોધપુરમાં રહેતા અજય મનસુખલાલ સુરેજા તારીખ ૬/૧/૨૦૧૩ ના જામજોધપુર પંથકમાંથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારી નારણભાઈ વિરમભાઈ ગઢવી અને લખુભા ગંભીરસિંહ રાઠોડ એ તેમના બાઇક ની ડેકીની તલાસી લેતા દારૂના બે પાઉચ મળી આવ્યા હતા આથી આ કેસ નહિ કરવા માટે ૨૦,૦૦૦ની લાંચની રકમ માગણી કરવામાં આવી હતી અને અંતે ૧૮૦૦૦માં નક્કી થયું હતું.
જે અંગે લાંચ રુશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરવામાં આવતા તારીખ ૮/૧૨/૨૦૧૩ ના રોજ છટકુ ગોઠવાયું હતું. જેમાં નારણભાઈ એ પૈસા લેવા માટે લખુભા રાઠોડ ને મોકલ્યા હતા .અને તે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
આ પછી લાંચ રુશ્વત વિરોધી શાખા ના પોલીસ સ્ટાફે બંને પોલીસ કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો અને અદાલતમાં ચાર્જ સીટ રજૂ કર્યું હતું.
આ અંગે નો કેસ જામનગર સેસન્સ અદાલત માં ચાલી જતા સાત સાહેદો ને તપાસવામાં આવ્યા હતા.અને ૪૦ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.આ પછી ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયું હશે. આથી સરકારી વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી જો ફરી જાય અથવા સાહદ હોસ્ટાઇલ જાહેર થાય તો પણ તેમની જુબાની ના રિલેવેન્ટ પેરા ને ધ્યાને લઈ શકાય.
આ કેસમાં ફરિયાદીએ એમ એમ જણાવ્યું હતું કે પોતાની બાઈક ગેરેજવાળાને રીપેરીંગ માટે આપી હતી જે લેવા જતા રૂ.૧૮૦૦૦ ની ખર્ચ અને મજૂરી ની રકમ માંગણી કરવામાં આવતા અને પોતાની પાસે પૈસા નહિ હોવાથી આ પોલીસ કર્મચારી ની મદદ લીધી હતી. આ પછી પોતાને બાઈક મળી ગયું હતું. જ્યારે ગેરેજ વાળા ને ચૂકવવાના ૧૮૦૦૦ ની રકમ આ પોલીસ કર્મચારી ને ચૂકવવા જતા એ વેળા એ તેને ઝડપી લીધા હતા.
આ ઉલટ તપાસ દરમિયાન ગેરેજ વાળો પણ તે મિકેનિક છે કે કેમ ? સાબિત થઈ શક્યું ન હતું. ફરિયાદી ,આરોપી અને ગેરેજ વાળા એ એક સંપ કરીને આ ખોટી વાર્તા રજૂ કરી છે. તેમ સરકારી વકીલે દલીલો કરી હતી.
તમામ દલીલો સાંભળ્યા પછી સેશન્સ જજ એન આર જોશીએ બંને પોલીસ કર્મચારી ને એક વર્ષ ની કેદ ની સજા અને રૂપિયા ૧૫૦૦૦ના દંડનો હુકમ કર્યો છે આ કેસમાં સરકાર પક્ષે વકીલ દીપક આર ત્રિવેદી રોકાયા હતા.