નીતિશ કુમારે રાજયપાલ સાથે કરી ઓચિંતી મુલાકાત, કોંગ્રેસને આપ્યો ઝટકો, ગરમાયુ બિહારનું રાજકારણ

  • January 23, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ તો શિયાળાને કારણે દેશભરમાં ઠંડી છે પરંતુ આજે બિહારમાં રાજકીય વાતાવરણમાં અચાનક ગરમાવો આવી ગયો હતો. જેડીયુ અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ નાણામંત્રી વિજય ચૌધરી રાજભવન પહોંચ્યા હતા. આ તેમનો અચાનક બનેલો કાર્યક્રમ હોવાને કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નીતિશ કુમારે રાજ્યપાલ સાથે એક સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નીતિશ કુમાર અને વિજય ચૌધરી 12.40 વાગ્યા પછી રાજભવનમાંથી બહાર આવ્યા હતા. આમ બંને નેતાઓએ લગભગ 40 મિનિટ સુધી રાજ્યપાલ સાથે વાત કરી હતી. હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે બજેટ સત્રને લઈને રાજ્યપાલ સાથે વાત કરી છે.


મહત્વનું છે કે નીતિશ કુમારે અચાનક રાજભવનની મુલાકાત લેતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ તરફ જેડીયુએ કોંગ્રેસના દાવાને ફગાવી દીધો છે. એક દિવસ પહેલા કોંગ્રેસે દાવો કર્યો હતો કે જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પસાર થશે ત્યારે નીતિશ કુમાર પણ તેમાં ભાગ લેવા આવશે અને રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. આ સંદર્ભમાં જેડીયુના નેતા ખાલિદ અનવરે એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર આમંત્રણ મળ્યું નથી. તેમજ જેડીયૂ પ્રમુખ નીતિશ કુમાર સાથે કોંગ્રેસના કોઈ નેતાએ મૌખિક વાતચીત પણ કરી નથી.


આ સાથે ખાલિદ અનવરે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આ દાવો કેમ કરવામાં આવ્યો તે માત્ર તેઓ જ કહી શકે છે. હાલમાં જેડીયૂ તરફથી ભારત જોડો ન્યાય યાત્રાના સ્વાગત માટે કોઈ તૈયારી નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જેડીયૂ હંમેશા સામાજિક સદભાવનાના પક્ષમાં છે. આ પ્રકારની યાત્રાનું સ્વાગત પણ કરીએ છીએ.


જેડીયૂ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે અચાનકથી રાજભવનની મુલાકાત કરતા અનેક અટકળો એ વેગ પકડયો છે. એક તરફ બિહારનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ બજેટ સત્રને લઈને વાત થઇ હોવાનું કહેવાય રહ્યું છે. આ તરફ સૂત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં બિહાર વિધાનસભામાં બજેટ રજૂ થવાનું છે. આવી સ્થિતિમાં નીતિશ સરકાર બજેટ સત્રની તૈયારીમાં વ્યસ્ત છે. આ સંબંધમાં આજે નીતિશ કુમાર રાજ્યપાલને મળવા ગયા હતા. નાણામંત્રી વિજય ચૌધરી પણ તેમની સાથે હતા. જો કે, આ દાવાઓ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં રાજકીય ચર્ચાઓને નકારી શકાય તેમ નથી.


બીજી મુદ્દાની વાત એ છે કે બિહારના રાજકારણમાં નીતિશ કુમાર કેવા નિર્ણયો લે, તેની કોઇને ખબર પડવા દેતા નથી. તેમના નિર્ણયો સૌ કોઇ માટે આશ્ચર્ય ઉપજાવે અને રાજકારણમાં ભૂકંપ લાવી દે તેવા રહેતા હોય છે. ત્યારે નીતિશ કુમારે કરેલી રાજભવનની અચાનક મુલાકાત માટે હાલ કયાસ લગાવવામાં આવી રહ્યા છે. પણ આ મુલાકાતનું સ્પષ્ટ કે ચોક્કસ કારણ જાહેર થયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application