જામનગરની જિલ્લા જેલમાં ‘ઇદ-ઉલ-અઝહા’ની ઉજવણી, મુસ્લિમ બંદીવાનોએ નમાઝ અદા કરી
એક-બીજાને ઇદની મુબારકબાદી પાઠવી: જેલ વિભાગ તરફથી તમામ કેદીને મીઠાઇ અપાઇ
જામનગર સહીત રાજયભરમાં મુસ્લિમ બિરદારો દ્વારા ગઇકાલે ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય અમદાવાદ ડો.કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન હેઠળ વિશેષ બકરી ઇદને અનુલક્ષી જામનગર જીલ્લા તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરની જીલ્લા જેલમાં ઇદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પર્વ હોય બંદીવાનોને મોલવી મનાનબાપુ દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી. નમાઝ અદા કર્યા બાદ બંદીવાનો દ્વારા એક બીજાને ઇદ ની મુબારકબાદી પાઠવી હતી.
આ પર્વ દરમ્યાન જેલ વિભાગ તરફ થી તમામ કેદીઓને મીઠાઇ પીરસવામાં આવી હતી. આ સંપુર્ણ કામગીરી જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી. જેમાં તમામ કેદીઓએ પણ પુરતો સાથ સહયોગ આપેલ હતો. કાર્યક્રમ ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ જામનગર જીલ્લા જેલના અધિક્ષક પી.પી.પટેલ ના અધ્યક્ષતામાં જેલર બી.વી.રાયજાદાની સુપર વિઝનમાં જેલકર્મીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. નિષ્ઠાવાન અને પ્રામાણિક એવા જીલ્લા જેલ અધિક્ષક પી.પી.પટેલ દ્વારા તમામ કેદીઓને ઇદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ની મુબારકબાદી પાઠવવામાં આવી હતી અને વહેલી તકે જેલ મુક્ત થઈ પોતાના પરીવાર સાથે રહે તેવી શુભકામના પણ આપવામાં આવી હતી.