જામનગર: જોડિયાના ટીંબડી ગામે વિજકરંટથી માતા-પુત્રના મોત
શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું : વાડી વિસ્તારમાં કામ કરતી વેળાએ બનેલો બનાવ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે વીજકરંટની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક માતા અને તેમના પુત્રનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટીંબડી ગામમાં રહેતા અને ખેતમજૂરીનું કામ કરતા ગીતાબેન નાયક (ઉંમર ૨૨ વર્ષ) તથા તેમના પુત્ર રાજેશ લાલસિંગ નાયકને પોતાની વાડીમાં કામ દરમિયાન અચાનક વીજકરંટ લાગ્યો હતો. બંને બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ માતા અને પુત્ર બંનેને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાથી શ્રમિક પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જોડિયા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે તેમજ ત્યારબાદ ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.