નેપાળના ધાડિંગ જિલ્લામાં મોડી રાતે એક ગમખ્વાર દુર્ઘટના બની હતી અને પોખરાથી કાઠમંડુ જતી તેમજ મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી હતી જેમાં 18 લોકોના મોત અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. મૃતકોમાં બે વિદેશી નાગરિકો, એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જોકે, તેમની રાષ્ટ્રીયતા હજુ સુધી જાણી શકાઈ નથી.ઘાયલોને તાબડતોબ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે રાતના અંધકારના લીધે રેસ્ક્યુ કામગીરીમાં અડચણ આવી હતી. અહેવાલ મુજબ, નેપાળ પોલીસે 17 મૃતદેહો બહાર કાઢ્યા છે, પરંતુ એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. આ સાથે મૃત્યુઆંક 18 થયો છે. બાકીના ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ સારવાર લઈ રહ્યા છે.અહેવાલો અનુસાર, બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી ત્યારે, કોઈ કારણોસર, ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો અને તે ત્રિશુલી નદીમાં ખાબકી ગઈ. આ અકસ્માત લગભગ 1:15 વાગ્યે થયો. બસ ધાડિંગ જિલ્લાના બેનીઘાટ રોરંક વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.
ધાડિંગ જિલ્લા ટ્રાફિક પોલીસ કાર્યાલયના વડા શિશિર થાપાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 18 થઈ ગયો છે. હાઇવે રેસ્ક્યુ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રાજકુમાર ઠાકુરે પણ આ ઘટના પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 25 ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બસમાં 35 થી વધુ મુસાફરો સવાર હતા. રાત્રિના બચાવ કામગીરીમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઉભી થઈ હતી. જોકે, નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ દળ, નેપાળ પોલીસ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.