મધ્યપ્રદેશ : હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ૭ના મોત, મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાય  

  • February 06, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મધ્યપ્રદેશના હરદામાં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં ૭ લોકોના મોતના અહેવાલ છે જ્યારે ૬૦ જેટલા લોકો ઘાયલ થયા છે, જો કે, મોતનો આંકડો વધે તેવી સંભાવના છે. વિસ્ફોટ બાદ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારના લગભગ ૫૦ ઘર આગની ચપેટમાં આવી ગયા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે આ ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. હાલમાં, છ લોકોના મોતની માહિતી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે ભોપાલ અને ઈન્દોરમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સિવાય તેમના બાળકોના ભણતરનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. આવી ઘટના ફરી ન બને તે માટે અમારી સરકાર કડક પગલાં લેશે.



આ ઘટનાના કેટલાક વિડીયો પણ હાલ વાઈરલ થઇ રહ્યા છે જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળે છે. હાલ ૨૦થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડના વાહનો પણ હરદા જવા રવાના થયા છે.


મળતી માહિતી મુજબ, મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં સવારે વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. માહિતી મળ્યા બાદ વહીવટી કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ ઘટનાની તાત્કાલિક નોંધ લેતા મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજીત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટર દ્વારા હરદા જવાનો નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજો, ભોપાલમાં એઈમ્સ અને બર્ન યુનિટને પણ જરૂરી તૈયારીઓ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application