રામની અયોધ્યામાં 'લક્ષ્મણ'ને નથી મળી રહી જગ્યા, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવામાં શું મૂશ્કેલી થઇ રહી છે ટીવીના લક્ષ્મણને?

  • January 19, 2024 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન રામની મૂર્તિના અનાવરણ સમારોહને લઈને દરેક ભારતીય ખૂબ જ ઉત્સાહિત છે. આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે ભક્તોની સાથે સેલેબ્સ પણ અયોધ્યા પહોંચવા લાગ્યા છે. આ સાથે ભગવાન રામની નગરીમાં તમામ હોટેલો હાઉસફુલ બુક થઈ ગઈ છે. ટીવીની રામાયણ સિરિયલના રામ, સીતા અને લક્ષ્મણ પણ 17 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યા હતા. હવે રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીએ ખુલાસો કર્યો છે કે તેમને અયોધ્યામાં રહેવાની જગ્યા નથી મળી રહી.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડિયોમાં રામાયણ સિરિયલના રામ, સીતા અને લક્ષ્મણ એટલે કે અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી અયોધ્યાના રસ્તાઓ પર ફરતા જોવા મળે છે. આ દરમિયાન ત્રણેય ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. ટેલિવિઝનના રામ, સીતા અને લક્ષ્મણને જોવા માટે લોકો પણ ખૂબ જ ઉત્સાહિત હતા. આ બધાની વચ્ચે રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરીએ અયોધ્યામાં તેમને થઇ રહેલી મુશ્કેલીઓ વિશે વાત કરી.


અભિનેતાએ ખુલાસો કર્યો કે તેને અયોધ્યા આવ્યાને બે દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી તેને રહેવાની જગ્યા મળી નથી. તેણે કહ્યું હતું કે, હોટેલના તમામ રૂમ લગભગ ભરાઈ ગયા છે અને ઉદ્ઘાટનના સમય સુધી તે ક્યાં રહેશે તેની ચિંતામાં છે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કેવી રીતે હાજરી આપીશ તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. જો કે, અભિનેતાએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં તેને અયોધ્યામાં રહેવા માટે યોગ્ય જગ્યા મળી રહેશે.


તમને જણાવી દઈએ કે પીએમ મોદી સહિત રાજનીતિના અનેક દિગ્ગજો રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ ઉપરાંત અન્ય ઘણા ક્ષેત્રોની હસ્તીઓ પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે. રામમંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે બોલિવૂડ અને ટીવી જગતના ઘણા સેલેબ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં મનોરંજન જગતના ઘણા સ્ટાર્સનું અયોધ્યા આગમન પણ કન્ફર્મ થઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application