↵જામનગરમાં વડાપ્રધાનના સ્વાગતમાં કીર્તિદાન ગઢવીના ડાયરાની જમાવટ
લોકગીતો, સાહિત્યિક રજૂઆતો અને સંગીતના સૂરોથી લોકો ઝૂમી ઉઠ્યા
લોકસાહિત્ય અને સંગીતના સમન્વય સાથે ગુંજ્યું ગુજરાતનું સાંસ્કૃતિક ગૌરવ
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર અને કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીના ડાયરાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. લોકસંગીત અને સાહિત્યના સંગમ સમાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા.
કીર્તિદાનભાઈ ગઢવીએ પોતાના આગવા અંદાજમાં લોકગીતો, સાહિત્યિક રજૂઆતો અને સંગીતના સૂરોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સંસ્કૃતિ અને લોકવારસાની અનોખી ઝલક જોવા મળી હતી. ડાયરામાં રજૂ થયેલા લોકગીતો અને દેશભક્તિથી ઓતપ્રોત રજૂઆતને ઉપસ્થિત લોકોએ ભારે તાળીઓ અને જયઘોષ સાથે વધાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ સાંસ્કૃતિક રંગોથી છલકાઈ ઊઠ્યું હતું અને લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. વડાપ્રધાન મોદીના આગમનને લઈને જામનગરમાં રાજકીય સાથે સાંસ્કૃતિક ઉત્સવનો માહોલ સર્જાયો હતો જેમાં ગુજરાતના જાણીતા કલાકારાએે પોતાની આગવી કલાત્મક અભિવ્યક્તિ દ્વારા શહેરની શોભા વધારી હતી.