જામનગરના પત્રકાર સંજય જાનીને ગુરુદ્વારા નજીક હિટ એન્ડ રનના બનાવમાં ફ્રેક્ચર સહિતની ઇજા
રોંગ સાઇડમાં આવી ટક્કર મારી ફરાર થયેલા ટુ-વ્હીલર ચાલક સામે ફરીયાદ
જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં જામનગરના પત્રકાર સંજયભાઈ ઈશ્વરલાલ જાની (રહે. ગુરુદ્વારા નજીક, સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગ પાછળ, બારાઈ ટેનામેન્ટ નં. ૮, જામનગર)ને ટુ-વ્હીલર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ઇજા પહોંચાડતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, તા. ૧૧/૦૧/૨૦૨૬ના રોજ બપોરના સમયે સંજયભાઈ જાની પોતાના ઘરેથી ચાલીને ગુરુદ્વારા ચોકડી ખાતે નવા ઓવરબ્રિજ નીચે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી લાલબંગલા તરફ રોંગ સાઈડમાં જઈ રહેલા એક ટુ-વ્હીલર ચાલકે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે તેઓ રોડ પર પટકાતાં ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર સહિત માથાના ભાગે ઇજા પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા બાદ ટુ-વ્હીલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર વાહનનો નંબર જીજે-૧૦-ડી.એલ.-૯૪૨૪ છે. ઇજાગ્રસ્ત સંજયભાઈ જાનીને પ્રથમ સારવાર માટે ડો. એ.ડી.રૂપારેલીયાની ખાનગી ન્યુરો હોસ્પિટલમાં અને ત્યારબાદ વાલકેશ્વરી નગરી માં આવેલી ડો. દિનકર સાવરિયાની હ્રીંમ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ડો.મહેશ દુધાગરા ની અવધ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ડાબા હાથની કોણી અને અંગુઠા પાસે બે ફ્રેક્ચર હોવાનું નિદાન કરી પ્લાસ્ટર બાંધી સારવાર આપી હતી.
ફરિયાદીએ પોતાની ડાયાબિટીસની તકલીફ તથા અગાઉ બે વખત બ્રેઇન સ્ટ્રોક આવી ચૂક્યા હોવાથી તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી શક્યા ન હોવાનું જણાવતાં સારવાર બાદ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પોલીસે આરોપી વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીટી બી. ડિવિઝનના પી.આઈ. એન.એમ. ગઢવી અને પો.એસ.આઈ. ડી.જી.રાજના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પંકજ વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.