BREAKING NEWS

ઈંધણ બચત માટે જામનગર જિલ્લા વિકાસ અધિકારી નિશા દ્વારા પ્રેરણાદાયી પહેલ

  • June 04, 2026 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈંધણ બચત માટે જામનગર જિલ્લા વિકાસ અધિકારી નિશા દ્વારા પ્રેરણાદાયી પહેલ

પ્રધાનમંત્રીની ઈંધણ બચતની અપીલને સન્માન આપી જિલ્લા વિકાસ અધિકારીપોતે સાયકલ ચલાવી ઓફિસ પહોંચ્યા

પર્યાવરણ સુરક્ષા અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં એક દિવસ સાયકલ, પગપાળા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

જામનગર તા.૦૪, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિત અને પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવેલી ‘ઈંધણ બચત’ની અપીલને ધ્યાને લઈ જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ પણ જિલ્લામાં બિનજરૂરી ઇંધણ વપરાશ તથા વીજ વપરાશમાં ઘટાડો કરવા સૂચના આપેલ.જે અન્વયે જામનગર જિલ્લામાં એક નવતર અને પ્રેરણાદાયી પર્યાવરણલક્ષી ઝુંબેશનો પ્રારંભ થયો છે. કલેકટરના માર્ગદર્શન હેઠળ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી નિશાએ આ દિશામાં પોતે જ પ્રથમ કદમ ઉઠાવીને જિલ્લાના તમામ નાગરિકો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિશાએ અઠવાડિયામાં એક દિવસ પોતાના રોજિંદા સરકારી કે વ્યક્તિગત કાર્યો માટે મોટર વ્હિકલનો છોડી સાયકલનો ઉપયોગ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ અંતર્ગત તેમણે જિલ્લામાં ‘નો મોટર વ્હિકલ ડે’ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

આ ઝુંબેશ અંગે વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી નિશાએ જણાવ્યું હતું કે, વધતું જતું પ્રદૂષણ અને ઈંધણનો વ્યય એ વૈશ્વિક ચિંતાનો વિષય છે. માનનીય પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની હાકલને જો આપણે આપણા રોજિંદા જીવનમાં વણી લઈએ, તો એક મોટું પરિવર્તન લાવી શકાય છે. મેં પોતે અઠવાડિયામાં એક દિવસ સાયકલ ચલાવવાનો કે પગપાળા જવાનો સંકલ્પ કર્યો છે અને હું જામનગર જિલ્લાના તમામ પ્રબુદ્ધ નાગરિકો, યુવાનો અને સરકારી અધિકારી-કર્મચારીઓને પણ નમ્ર અપીલ કરું છું કે તેઓ પણ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ તરીકે ઉજવે અને રોજિંદા જીવનમાં સાયકલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અઠવાડિયામાં માત્ર એક દિવસ મોટર વ્હિકલનો ઉપયોગ ટાળવાથી બહુવિધ ફાયદાઓ થશે. તેનાથી પેટ્રોલ-ડીઝલની બચત થતાં રાષ્ટ્રના કિંમતી સંસાધનો અને નાગરિકોના નાણાં બચશે, વાહનોના ધુમાડા ઘટવાથી હવાનું પ્રદૂષણ ઓછું થશે અને રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ પણ હળવું બનશે. આ સાથે જ, રોજિંદા જીવનમાં સાયકલ ચલાવવાથી કે ચાલવાથી શારીરિક ફિટનેસ વધશે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે. જામનગરના નાગરિકો હંમેશા આવી સદભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે, ત્યારે તમામ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળો આ પર્યાવરણ યજ્ઞમાં જોડાઈને જામનગરને આખા રાજ્યમાં એક ગ્રીન અને હેલ્ધી જિલ્લા તરીકે રોલ મોડેલ બનાવે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application