જામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલ દીપડાનું સફળ રેસ્ક્યુ કરી સારવાર અપાઈ
વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્ત દીપડાને વધુ સારવાર અર્થે જૂનાગઢ સક્કરબાગ ખાતે ખસેડ્યો
પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા દીપડાને રિફર કરાયો
જામજોધપુર તા.૦૪, જામજોધપુર તાલુકાના સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાં વન વિભાગને વન્યજીવોની આંતરિક લડાઈમાં એક થી દોઢ વર્ષનો દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ સતર્ક થઈ હતી અને દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને તાત્કાલિક જામજોધપુર વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત દીપડાની ગંભીરતાને ધ્યાને લેતા, જામજોધપુર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડો. ઇકબાલ ભટ્ટી તથા જયેશ મણીયાર દ્વારા આર.એફ.ઓ. અને વન વિભાગના અન્ય સ્ટાફની હાજરીમાં ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન દીપડાને ડોક તથા માથાના ભાગે ઇનફાઇટને કારણે ગંભીર ઇજાઓ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.પ્રાથમિક સારવાર બાદ દીપડાની તબિયત વધુ ગંભીર જણાતા અને તેને વિશેષ તબીબી સંભાળની જરૂરિયાત હોવાથી, વન વિભાગ દ્વારા તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે રિફર કરવામાં આવ્યો છે. વન વિભાગની આ ત્વરિત કામગીરીને પગલે ઘાયલ વન્યજીવને સમયસર સારવાર મળી શકી છે.