જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાના વયનિવૃત્તિ પ્રસંગે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાની લાંબી અને નોંધપાત્ર સરકારી સેવાનો કાર્યકાળ પૂર્ણ કરતા વયનિવૃત્તિના અવસરે એક સકારાત્મક પહેલરૂપે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેક્ટરએ પોતાના સેવાકાળ દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શિતા અને લોકોમુખી વહીવટ માટે કરેલા પ્રયત્નોની સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી.
ઘોડિયાઘર (બાળ સંભાળ કેન્દ્ર)ના પ્રારંભથી કામકાજ કરતી માતાઓને ખાસ સહાય મળશે અને બાળકોને સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણમાં સંભાળની સુવિધા ઉપલબ્ધ થશે. અહીં બાળકો માટે મનોરંજનના સાધનો, બેડ અને પારણાંની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પહેલ મહિલાઓના સશક્તિકરણ અને કામકાજમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપતી સાબિત થશે.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી શારદા કાથડ, અધિકારીઓ, કર્મચારીઓ, બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.