રાહુલ ગાંધીના ‘બોડી ડબલ’ મામલે ટૂંક સમયમાં જ ખુલાસો કરીશ  : હિમંતા બિસ્વા સરમા

  • January 30, 2024 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામના મુખ્યમંત્રી અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન ઉપયોગમાં લેવાતા 'બોડી ડબલ'નું નામ અને સરનામું જાહેર કરશે. હિમંતા સરમાએ શનિવારે સોનિતપુર જિલ્લામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'હું માત્ર વાતો નથી કરતો. રાહુલ ગાંધીના ડુપ્લિકેટનું નામ, અને તેનો કેવી રીતે ઉપયોગ થઇ રહ્યો છે તેના વિશેની તમામ માહિતી શેર કરીશ. થોડા દિવસો રાહ જુઓ.’ હિમંતા સરમાએ તાજેતરમાં આસામમાં કોંગ્રેસની રેલી દરમિયાન રાહુલ ગાંધીના 'બોડી ડબલ'નો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો હતો.


આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી જ્યારે દિબ્રુગઢની બે દિવસની મુલાકાત બાદ ગુવાહાટી પરત ફરશે ત્યારે તેઓ તેમના ડુપ્લિકેટનું નામ અને સરનામું જાહેર કરશે. સરમાને એક ન્યૂઝ પોર્ટલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની ન્યાય યાત્રા દરમિયાન તેમના 'બોડી ડબલ'નો ઉપયોગ કરી રહ્યા હતા? હિમંતા બિસ્વા સરમાએ ૨૫ જાન્યુઆરીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી તેમની બસની મુસાફરીમાં 'બોડી ડબલ'નો ઉપયોગ કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં સરમાએ કહ્યું કે આનો મતલબ એ છે કે બસની આગળ બેઠેલી વ્યક્તિ અને લોકોને જોઈ રહેલ વ્યક્તિ કદાચ રાહુલ ગાંધી નથી.


આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પૂછ્યું કે શું રાહુલ ગાંધીનો બોડી ડબલનો ઉપયોગ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો? હિમંતા સરમાએ એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા 'ભારત જોડો ન્યાય યાત્રા' માટે ઉપયોગમાં લેવાતી બસમાં ઘણી કેબિન છે. જેમાં રાહુલ ગાંધી ઘણીવાર અંદર કેટલાક લોકો સાથે બેઠા હતા અને બહારના લોકો રાહુલ ગાંધીના જેવું અન્ય કોઈ દેખાતું હતું. નોંધનીય છે કે 'ભારત જોડો ન્યાય યાત્રા'ને મુખ્ય માર્ગોથી આસામની રાજધાની ગુવાહાટીમાં પ્રવેશ મામલે કોંગ્રેસના કાર્યકરો અને રાજ્ય પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.


આ પછી આસામમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. અથડામણ ત્યારે થઈ જ્યારે હિમંતા સરમા સરકારે ન્યાય યાત્રાને શહેરથી દૂર રહેવા અને ગુવાહાટી બાયપાસનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો. પોલીસે ન્યાય યાત્રાને શહેરમાં પ્રવેશતા અટકાવી દીધી, જેના કારણે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો. આ મામલામાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને હવે તેને આસામ સિઆઇડીને સોંપવામાં આવી છે. 'ભારત જોડો ન્યાય યાત્રા' ૧૮ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન આસામમાં પ્રવાસ કર્યો. આ દરમિયાન રાહુલ ગાંધી અને હિમંતા સરમા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિમંતા શર્મા ભારતના 'સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી' છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application